અમદાવાદની મધ્યમાંથી વહેતી સાબરમતી નદી હવે સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે. દરરોજ સરેરાશ એક વ્યકિત સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરે છે. આત્મહત્યાના બનાવો રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ પાંચ બ્રિજ પર જાળી લગાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. કોર્પોરેશને આત્મહત્યાના બનાવને રોકવા માટે નદીમાં રેસ્ક્યૂ ટીમ બોટ સાથે તહેનાત કરી છે. ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે જાહેર કરેલા આંકડા મુજબ વર્ષ ૨૦૧૬માં સાબરમતી નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરાવાના ટોટલ ૩૯૭ ફોન આવ્યા હતા, જેમાં રેસ્ક્યૂ ટીમે ૩૧૨ લોકોની લાશ બહાર કાઢી હતી જ્યારે ૮૯ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે કુલ ૧૩૫ લોકોએ નદીમાં છલાંગ લગાવી છે, જેમાં ૧૧૬ લોકોનાં મોત થયાં છે અને ૩૯ લોકોને રેસ્ક્યૂ ટીમે બચાવી લીધા છે.
આંબેડકરબ્રિજ, સરદારબ્રિજ, ગાંધીબ્રિજ, દધિચિબ્રિજ, સુભાષબ્રિજ અને ઇન્દિરાબ્રિજ પર લાખો રૂપિયાના ખર્ચે જાળી લગાવવાનો નિર્ણય લેવાયો છે. તમામ બ્રિજ પર જાળી લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ફાયરબ્રિગેડના રેસ્ક્યૂ ટીમના કર્મચારી ભરતભાઇ માંગેલાએ જણાવ્યું છે કે નહેરુબ્રિજ અને એલિસબ્રિજ પર જાળી લગાવ્યા બાદ કોઇ પણ વ્યકિતએ તે બ્રિજ પરથી છલાંગ લગાવી નથી.વર્ષ ૨૦૧૭માં સૌથી વધુ આત્મહત્યાના બનાવ મે મહિનામાં નોંધાયા છે ત્યારે જૂન મહિનામાં કુલ ૧૭ લોકોએ નદીમાં છલાંગ લગાવી છે, જેમાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમે ત્રણ લોકોને બચાવી લીધા છે, જ્યારે ૧૪ લોકોનાં મોત થયાં છે.