આંતરરાષ્ટ્રીય પોર્ટનો દરજ્જો હાંસલ કરી ચુકેલા કંડલા પોર્ટ નજીકના કંડલા એરપોર્ટથી મુંબઈ માટેની વિમાનીસેવા આગામી જુલાઈ માસથી શરુ કરવામાં આવશે, તેમ આધારભુત સુત્રોમાંથી જાણવા મળે છે.કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલી ઉડાન સ્કીમ અંતર્ગત એક કલાકના સફર માટૅ માત્ર ૨૫૦૦ રૂપિયામાં દેશમાં ડોમેસ્ટીક વિમાની સેવા શરૂ કરવાની યોજના અમલમાં મુકાઈ હતી. જેના બીજા ફેઝમાં કંડલાથી મુંબઈ પ્લેનને શરુ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. નાગરીક ઉડ્ડયન મહાનિર્દેશક દ્વારા કંડલા એરપોર્ટ પર તાજેતરમાં સર્વે કરાયો હતો. સ્પાઈસ જેટ કંપની દ્વારા આ વિમાની સર્વિસ આગામી ૧૦ જુલાઈથી શરૂ કરાશે તેમ સુત્રોએ જણાવ્યુ હતું. જેની બુકીંગ સંભવતઃ આગામી મહિનાથી શરૂ કરવામાં આવશે.
આ અંગે વાત કરતા રેડીસન હોટલના ડાયરેક્ટર મુકેશ આચાર્યે જણાવ્યું હતું કે કંપનીના અધિકારીઓએ આની પુષ્ટી કરી છે તથા સ્થાનિકોને આ સેવા શરુ થવાથી સરળતા થઈ પડશે. અહી નોંધવુ રહ્યુ કે અગાઉ ડૅક્કન, સ્પાઈસ જેટ, કિંગફીશર અને છેલ્લે એરલાઈન દ્વારા અહી આ સર્વિસ શરૂ કરાઈ હતી. જે તમામનું બાળમરણ થઈ ગયુ હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત મહિને ગાંધીધામ ,કંડલા ખાતે આયોજીત કાર્યક્રમમાં આવ્યા ત્યારે પહેલા દિલ્હીથી સીધા કંડલા એરપોર્ટથી ૬૦ કિંમી. દુર ભુજ એરપોર્ટ પર ઉતરવું પડ્યુ હતુ. ત્યારબાદ ત્યાંથી એરફોર્સના હેલીકોપ્ટર દ્વારા કંડલા એરપોર્ટ આવ્યા હતા. કંડલા એરપોર્ટ પર નિયમીત સેવા ન હોવાના કારણે તેનો વિકાસ કરી શકાયો નથી. અને લોકલ ટ્રાફિક સારો એવો હોવા છતાં ભુજ એરપોર્ટ સુધી લંબાવુ પડે છે.