શહેરના ઈસનપુર વિસ્તારમાં ગોવિંદવાડીથી ઈસનપુર ચાર રસ્તા તરફ જતા રસ્તાને ૨૪ મીટર પહોળાઈનો કરવા માટે વધુ બાંધકામો દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા દુર કરવામાં આવ્યા છે.આ અંગે મળતી માહીતી અનુસાર,ટીપી સ્કીમના અમલીકરણના ભાગરૂપે ઈસનપુર ગામ બસસ્ટેન્ડ થઈને ઈસનપુર ચાર રસ્તા તરફ જતા ૨૪ મીટર પહોળાઈના રોડલાઈન કપાતમાં આવતા ૧૭૨ જેટલા બાંધકામો અગાઉ દુર કરવામાં આવ્યા હતા.દરમિયાન પ્રિન્સ હોટલના નામે ઓળખાતા બાંધકામની ગ્રાઉન્ડ ફલોર તેમજ પહેલા માળની બે દુકાનો તથા અન્ય દુકાનોના માલિકો અને કબજેદારો દ્વારા હાઈકોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. આ દાવા સંદર્ભમાં કાર્યવાહી પુરી થતા દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ તરફથી કુલ આઠ જેટલા કોમર્શીયલ પ્રકારના અંદાજીત ૯૬૦ ચોરસફુટ બાંધકામને દુર કરી આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.આ રસ્તો ખુલ્લો થવાથી સ્થાનિક લોકોને અવરજવરમાં સરળતા થવા પામી છે.આગામી સમયમાં પણ ટીપી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી ઝુંબેશના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે.