શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવના સમાપન દિવસે ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા તાલુકાના દેણા ગામે પ્રાથમિક શાળામાં અને નંદેસરી ગામે માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવનારા સરસ્વતી સાધકોને આવકાર્યા અને ગુલાબની પાંખડીઓથી વધાવ્યા હતા. વાચે ગુજરાત અને ખેલે ગુજરાત બંને અભિયાનો પેઢી ઘડતર માટે અગત્યના છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે વિદ્યાર્થીઓને ખંતથી ભણવા અને દિલથી રમવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ખેલ રાજ્યમંત્રીએ નવો પ્રવેશ મેળવનારાઓને દફતર અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કર્યુ હતુ. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેક્સ અને પાઠ્ય પુસ્તકોનુ, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષક આહારનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. ખેલ મંત્રીએ શાળા પુસ્તકાલય માટે ૭૫ પુસ્તકોનો સંપુટ ભેટમાં આપ્યો હતો.
શાળાએ માટી માંથી મનુષ્યને ઘડવાની કાર્યશાળા છે એવી લાગણી વ્યક્ત કરતાં ખેલ રાજ્યમંત્રીએ જણાવ્યું કે શિક્ષકો શિક્ષણની સાથે રાષ્ટ્ર ભાવનાનુ સિંચન કરે અને જીવનની પધ્ધતિ શીખવાડે. સરપંચો, પદાધિકારીઓ અને વાલીઓ શાળા સાથે સંપર્ક રાખે અને બાળકો નિયમિત આવે અને ભણે એની કાળજી લે.
ગામલોકોને ઘરઆંગણે મુશ્કેલીઓના નિવારણ માટે રાજ્ય સરકાર ધ્વારા યોજાતા સેવા સેતુ કાર્યક્રમોનો લાભ લેવાનો અનુરોધ કરતા જણાવાયુ કે આ કાર્યક્રમોનો લાભ લેવાનો અનુરોધ કરતા જણાવ્યુ કે આ કાર્યક્રમ ધ્વારા એક કરોડ જેટલા લોક પ્રશ્નો હલ કરવામાં આવ્યા છે. તેમણે બાળકોને નિયમિત હાજરી માટે પ્રોત્સાહિત કરતો અનોખો પ્રયોગ અમલમાં મૂકવા માટે શિક્ષિકા પારુલબહેન અને આચાર્ય નિલંતાબહેન ત્રિવેદીને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે સરપંચ નિઝામભાઇ, ડાયટ પ્રતિનિધિ દિવ્યપ્રભાબહેન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લીમ માતાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ ધ્યાનાકર્ષક બની હતી.