ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત ગત ૬ જુલાઇ થી ૧૧ ઓગષ્ટ દરમ્યાન ભાજપાનું સદસ્યતા વૃધ્ધિ અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્ર, વિવિધ વર્ગ તથા વિવિધ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. પંડ્યાએ જણાવ્યું હતું કે, આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ્’’ ખાતે ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો, ચિત્રકારો તથા યુવા ઉદ્યોગ સાહસિકો ભાજપામાં જોડાયા હતા. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ દેશ અને વિદેશમાં સુપ્રસિધ્ધ એવા ગાયિકા એશ્વર્યા મજમુદાર, કિંજલ દવે, અરવિંદ વેગડા, પ્રાંજલબેન ભટ્ટ, પુજા પ્રજાપતિ, કુણાલ ભટ્ટ, પુજા પંડ્યા તથા બિઝનેસ વુમન સોફીયા કચેરીયા, પિંકી સાધુ, પ્રોફેસર પ્રતિક ત્રિવેદી, ચિત્રકાર સૌમ્યા પંડ્યા ઠક્કર, બિઝનેસમેન પાર્થ ઠક્કર, પિંકી દોષી તથા ડૉ. નેહલ સાધુને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત્ ભાજપામાં આવકાર્યા હતા.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક ગુજરાતી હોય ત્યારે ગુજરાતની સમગ્ર જનતા માટે એક ગૌરવ અને આનંદની વાત છે. સતત ૧૯૯૫ થી અવિરતપણે ભાજપા પર ગુજરાતની જનતાએ વિશ્વાસ મુક્યો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાએ તમામ ૨૬ બેઠકો પર ૨૦૧૪ કરતા પણ વધારે માર્જીનથી વિજય અપાવ્યો છે ત્યારે ગુજરાતની જનતાનો ભાજપા તરફી અપાર પ્રેમ પ્રદર્શીત થાય છે. ભાજપા સંગઠન વિવિધ ક્ષેત્રોમાંથી ભાજપામાં જોડાઇ રહેલ સૌ કોઇનું સ્વાગત કરે છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, ૧૧ ઓગસ્ટ, ૨૦૧૯ સુધી ચાલનાર ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાનને વધુ અસરકારક રીતે આગળ લઈ જવા માટે ભાજપાના કાર્યકર્તાઓ સતત કાર્યરત છે.
સંગઠન પર્વ – સદસ્યતા વૃધ્ધિ અભિયાન એ જનજન સાથે સંપર્ક થકી સૌને ભાજપા સાથે જોડી ભાજપાના રાષ્ટ્રવાદી-વિકાસવાદી વિચાર વધુ સુદ્રઢ બનાવવા માટેનું પર્વ છે.