કર્ણાટકમાં ઘણા દિવસોથી ચાલતા રાજકીય નાટકનો આખરે આજે અંત આવી ગયો છે. પોતાની સરકારને બચાવવામાં મુખ્ય પ્રધાન અને જનતા દળ (સેક્યુલર) પાર્ટીના નેતા એચ.ડી. કુમારસ્વામી નિષ્ફળ ગયા છે.આજે કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસના મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પણ તેની પર થયેલા વોટિંગમાં એમની તરફેણમાં ૯૯ વોટ પડ્યા હતા જ્યારે વિરોધપક્ષ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ૧૦૫ વોટ પડ્યા હતા. આમ, કુમારસ્વામીની ૧૪-મહિના જૂની સરકારે ૬-વોટથી સત્તા ગુમાવી છે.
મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદ મતગણતરી શરૂ કરાઈ હતી ત્યારબાદ વિધાનસભાના સ્પીકર કે.આર. રમેશે પરિણામની જાહેરાત કરી હતી.પરિણામની જાહેરાત બાદ તરત જ ભાજપના નેતા બી.એસ. યેદિયુરપ્પા તથા અન્ય વિધાનસભ્યોએ વિક્ટરીની નિશાની બતાવી હતી.
છેલ્લા અનેક દિવસોથી કર્ણાટકમાં રાજકીય નાટક ચાલતું હતું. કોંગ્રેસ-જેડીએસના ૧૫ અસંતુષ્ટ વિધાનસભ્યો ગૃહમાં છેવટ સુધી ગૃહમાં હાજર ન થતાં કુમારસ્વામી સરકારને હારની નામોશી સહન કરવી પડી છે.કુમારસ્વામીની સરકારના પરાજય અંગે પ્રત્યાઘાત આપતાં ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે બધો કર્મનો ખેલ છે.
વિશ્વાસના મત પર કરાયેલા મતદાન વખતે વિધાનસભા ગૃહમાં ૨૦૪ સભ્યો હાજર હતા. રાજ્યવિધાનસભાની કુલ બેઠકો ૨૨૪ છે.ગૃહમાં જ્યારે ચર્ચા શરૂ થઈ તો સત્તા પક્ષ (ટ્રેઝરી બેંચ)માં મોટા ભાગે ધારાસભ્યો ગેરહાજર હતા.
આ અંગે સ્પીકર રમેશ કુમારે નારાજગી વ્યક્ત કરી. તેઓએ પૂછ્યું કે ગઠબંધન સરકારના ધારાસભ્યો ક્યાં છે? આ પહેલાં રાજીનામું આપનારા બળવાખોર ધારાસભ્યોએ સ્પીકરને એક પત્ર લખ્યો જેમાં તેઓએ માગ કરી કે તેમને મુલાકાત માટે ૪ સપ્તાહનો સમય આપવામાં આવે. આ બળવાખોરને સ્પીકરે સોમવારે મળવાની નોટિસ આપી હતી. સુપ્રીમ કોર્ટમાં બળવાખોર ધારાસભ્યોની અરજી પર બુધવારે સુનાવણી થશે.ફ્લોર ટેસ્ટ બાદ યેદીયુરપ્પાએ કહ્યું, ’’આ લોકતંત્રની જીત છે. કુમારસ્વામી સરકારથી લોકો ત્રાસી ગયા હતા. હું કર્ણાટકની જનતાને આશ્વસ્થ કરું છું કે હવે વિકાસના નવા યુગનો પ્રારંભ થશે. ’’