મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની વી.એસ.હોસ્પિટલ ઉપર શાસકપક્ષનો કોઈ અંકુશ ન રહ્યો હોય એમ આજે વધુ એક આર્થિક ગુનો બહાર આવવા પામ્યો છે.જેમાં રૂપિયા ૫.૨૩ લાખના ૪૫૨ જેટલા ૪૫૨ ચેકો લઈને અજાણ્યા શખ્સો પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ મથકમાં નોંધાવાતા પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.આ અંગે એલિસબ્રિજ પોલીસ સૂત્રો તરફથી મળતી માહીતી અનુસાર,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં આવેલા ડીસ્પેન્સરી કેસ કાઉન્ટર વિભાગ પરથી રૂપિયા ૫.૨૩ લાખની કીંમતના ૪૫૨ ચેકો લઈ અજાણ્યા શખ્સો પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ મ્યુનિ.ના આસીટન્ટ મેનેજર લોકેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ૭ જુનના રોજ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.પોલીસના કહેવા મુજબ,નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આસીસ્ટન્ટ મેનેજરે છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે વી.એસ.હોસ્પિટલમાં આવેલા ડીસ્પેન્સરી કેશ કાઉન્ટર વિભાગ પરથી અજાણ્યા શખ્સો કુલ મળીને ૪૫૨ જેટલા ચેકોની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા છે.પોલીસે આ ફરિયાદના આધારે અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ છેતપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.એક સમયે માત્ર અમદાવાદ શહેર જ નહીં પરંતુ અમદાવાદ બહાર અને દેશના અન્ય ભાગોમાં પણ ભારે નામના ધરાવતી વી.એસ.હોસ્પિટલનો વહીવટ છેલ્લા પાંચ વર્ષથી બિલ્કુલ ખાડે જવા પામ્યો છે.
પાંચ વર્ષમાં આઉટસોર્સિંગથી સ્ટાફ રાખવાના નામે જે જે એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી હતી.આ તમામ એજન્સીઓના કૌભાંડો બહાર આવવા પામ્યા છે.સૌથી મોટુ કૌભાંડ બોગસ રસીદકાંડનું સામે આવતા મ્યુનિ.તંત્ર દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ નોધાવવામાં આવી હતી.વી.એસ.હોસ્પિટલ સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ દ્વારા પણ થોડા દિવસો અગાઉ આ મામલે મેયરને પત્ર લખીને હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.