ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી શરૂ થઇ રહેલા ૧પમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય અભિયાનનો રાજ્ય પ્રારંભ દાહોદ જિલ્લાના અંતરિયાળ આદિજાતિ ગામ રૂપાખેડાથી કરાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે પહોચશે અને ધોરણ-૧માં પ્રવેશપાત્ર ૩૦ કુમાર અને ર૮ કન્યા મળી પ૮ ભૂલકાંઓનો શાળાપ્રવેશ કરાવશે. રાજ્ય સરકારે ગત વર્ષના શાળા પ્રવેશોત્સવ અભિયાનથી એક નવતર અભિગમ અપનાવીને પ્રાથમિક શાળામાં નામાંકન સાથે ધોરણ-૮ પાસ કરીને ધોરણ-૯ માં માધ્યમિક શાળામાં પ્રવેશોત્સુક બાળકોનો પ્રવેશોત્સવ પણ હાથ ધર્યો છે. આ અભિગમ તહેત ધોરણ-૯માં પ્રવેશપાત્ર ૧૧ર વિદ્યાર્થીઓનો પણ શાળાપ્રવેશ કરાવાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી રૂપાખેડા શાળામાં પ્રવેશોત્સવ સાથે કન્યા કેળવણી બોન્ડ પણ પ્રવેશોત્સુક કન્યાઓને અર્પણ કરશે. શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણીના આ ત્રિદિવસીય અભિયાન અન્વયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મહેસાણા જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરવાના છે. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સંસદીય સચિવઓ તથા વિવિધ નિગમો-બોર્ડના અધ્યક્ષો-પદાધિકારીઓ પણ આ શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં જોડાવાના છે.
પાછલી પોસ્ટ