ધોરણ-૧૨ પછી એન્જિયનીયરીંગમાં પર્સેન્ટાઇલના આધારે પ્રવેશ આપવાની પધ્ધતિને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં આજે રાજય સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, પર્સેન્ટાઇલ પધ્ધતિને ગેરકાયદે ઠરાવતા હાઇકોર્ટના અગાઉના ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં જે પિટિશન થયેલી છે, તેમાં સુપ્રીમકોર્ટે હાઇકોર્ટના હુકમ સામે સ્ટે ફરમાવેલો છે. સરકારના આ નિવેદનને ધ્યાનમાં લઇ હાઇકોર્ટે આ કેસનું સુપ્રીમકોર્ટનું સ્ટેટસ ચાર સપ્તાહમાં કોર્ટના રેકર્ડ પર રજૂ કરવા સરકારને હુકમ કર્યો હતો. પર્સેન્ટાઇલ પધ્ધતિને પડકારતી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી છે કે, આ પધ્ધતિને લીધે બોર્ડમાં ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય તેવા બોર્ડના વિદ્યાર્થીઓને પ્રવેશમાં ખાસ નુકસાન થવાની શકયતા રહે છે. એટલું જ નહી, મેરિટ ધરાવતા અને જેન્યુઇન વિદ્યાર્થીઓ પ્રવેશમાં અન્યાયનો ભોગ બને છે. આ સંજોગોમાં પર્સેન્ટાઇલ નહી પરંતુ પરસન્ટેજના આધારે જ પ્રવેશ અપાવો જોઇએ તેવી રિટમાં દાદ માંગવામાં આવી હતી. જો કે, હાઇકોર્ટે આ મામલો અગાઉ ખંડપીઠ દ્વારા નિર્ણિત થયેલો હોઇ વેકેશન બાદ રેગ્યુલર કોર્ટમાં એટલે કે, ખંડપીઠ સમક્ષ સંભળાય તે હેતુથી કેસની વધુ સુનાવણી તા.૭મી જૂન પર ટાળી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પર્સેન્ટાઇલ પધ્ધતિને પડકારતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં થઇ હતી, જેમાં હાઇકોર્ટે પર્સેન્ટાઇલ પધ્ધતિ ગેરકાયદે ઠરાવી હતી. હાઇકોર્ટના આ હુકમ સામે રાજય સરકારે સુપ્રીમકોર્ટમાં પિટિશન કરી હતી. જે સુપ્રીમકોર્ટમાં પડતર છે. બીજીબાજુ, રાજય સરકારે ચાલુ વર્ષે ઇજનેરીમાં પ્રવેશ માટે જેઇઇના બદલે ગુજકેટના આધારે પ્રવેશની નીતિ અપનાવી હતી અને સાથે સાથે પર્સેન્ટાઇલ પધ્ધતિનો આધાર લીધો હતો, જેથી આ પધ્ધતિને ફરી એકવાર હાઇકોર્ટમાં પડકારાઇ હતી. જો કે, રાજય સરકારે આ કેસમાં સુપ્રીમકોર્ટના સ્ટેની વાત કહીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
પાછલી પોસ્ટ