ગુજરાતની ભાજપ સરકાર દ્વારા અમદાવાદ જિલ્લાના ૪૪૭ ગામો અને છ નગરપાલિકાઓમાં અપાતા પાણી પુરવઠાને આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણય લેવા પાછળ એવું કહેવાય છે કે દસ વર્ષથી ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓએ ગુજરાત સરકારને પાણી વેરો ભર્યો નથી. પરંતુ ઉલ્લેખનીય છે કે જે ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓનો પાણી પુરવઠો બંધ કરવાનો નિર્ણય કરાયો છે તેમાં અગાઉ ભાજપ પ્રેરિત સત્તાધીશો વહીવટ કરતા હતા. જયારે હવે આ પંચાયતો અને પાલિકાઓમાં કોંગ્રેસના સત્તાધીશો વહીવટ ચલાવી રહ્યા છે.
આ સંજોગોમાં આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપસરકાર દ્વારા પાણી પુરવઠો બંધ કરીને રાજકીય દાવ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા બહાર ઉનાળામાં અમદાવાદ જિલ્લાના ૪૪૭ ગામો અને છ નગર પાલિકાઓમાં આવતીકાલથી પાણી પુરવઠો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતની બીજેપી સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું છે કે, અમદાવાદ જિલ્લાના દેત્રોજ, વિરમગામ અને માંડલ તાલુકા સહિતના વિવિધ તાલુકાઓની ૪૪૭ ગ્રામ પંચાયતો તેમજ છ નગરપાલિકાઓએ સરકારને છેલ્લા દસ વર્ષથી પાણી વેરો ભર્યો નથી.
પાણી પુરવઠા વિભાગે વધુમાં જણાવ્યું છે કે આ ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા દસ વર્ષથી અંદાજે રૂપિયા ૬૦ કરોડથી વધુ રકમનો પાણી વેરો ભરવાનો બાકી છે.આ પાણી વેરાની બાકી વસુલાત માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા આવતીકાલથી અમદાવાદ જિલ્લાની ૪૪૭ ગ્રામ પંચાયત વિસ્તારોમાં અને છ નગરપાલિકા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના આ નિર્ણય અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે આ ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓમાં અગાઉ ભાજપ પ્રેરિત સત્તાધીશો વહીવટ કરતા હતા. જયારે હવે આ પંચાયતો અને નગરપાલિકામાં કોંગ્રેસ પ્રેરિત સત્તાધીશો વહીવટ ચલાવે છે. જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતોને પોતાની તરફ કરવા માટે ભાજપ સરકાર દ્વારા આ દાવ ખેલવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
આગળની પોસ્ટ