ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગિફટ સિટીમાં ભારતના સૌથી મોટા સ્ટોક એકસચેન્જ નેશનલ સ્ટોક એકસચેન્જ દ્ગજીઈના નવા પ્રકલ્પ એનએસઇ , આઇએફએસસીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ સાહસ ગુજરાતના આર્થિક કારોબાર સાથે ગિફટ સિટીના ઇતિહાસમાં એક નવું સિમાચિન્હ બનશે તેવો વિશ્વાસ આ પ્રકલ્પનો બેલ વગાડીને પ્રારંભ કરાવતાં વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, આવનારા દિવસોમાં ગિફટ સિટી ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ ઇન્સ્ટીટયુશન્સ, ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ બિઝનેસ ફર્મ તેમજ ઓફ શોર બેન્કીંગ, ગ્લોબલ ટ્રેડિંગ એકસચેન્જ જેવા કારોબારથી ધમધમતું વૈશ્વિક કેન્દ્ર બનવાનું છે. આના પરિણામે ગુજરાતના નવયુવાનો માટે રોજી-રોટી અને રોજગાર અવસર વ્યાપક બનશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.મુખ્યમંત્રીએ ગુજરાતની પોતાના નવા પ્રકલ્પ માટે પસંદગી કરવા માટે એનએસઇ નો આભાર વ્યકત કરતાં ઉમેર્યુ કે, વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ તેમના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમ્યાન ગિફટ સિટીની આધારશીલા મૂકીને સિંગાપોર, દૂબઇ, ન્યૂયોર્ક જેવા વિકસીત સ્થાનો પરથી થતાં શેર-સ્ટોક એકસચેન્જ અને વેપાર જેવી જ વૈશ્વિક સુવિધા ગુજરાતમાં આપવાનું જે સપનું સેવેલું તે અમે સાકાર કર્યુ છે.
તેમણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન અને સાતત્યપૂર્ણ પ્રગતિનું સંવાહક છે તથા ઊદ્યોગના મૂડીનિવેશની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે તેની વિશદ ભૂમિકા આપી હતી.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાને ડેરીવેટીવ્ઝ ક્ષેત્રે રૂપિયા-ડોલરની બાબતે ત્વરિત નિર્ણય લેવાનો પણ અનુરોધ કર્યો હતો. મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘે એનએસઇ નું ગિફટ સિટીમાં આગમન ગુજરાતની શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ અને પ્રુડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટનું પૂરક ગણાવ્યુ હતું.
તેમણે એનએસઇને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે એનએસઇના ચેરમેન અશોક ચાવલા તથા સેબીના ચેરમેન અજય ત્યાગીએ પ્રાસંગિક સંબોધન કર્યા હતા.આ અવસરે ગિફટ સિટીના ચેરમેન સુધીર માંકડ, કંડલા સેઝના વશિષ્ઠ તેમજ અગ્રગણ્ય શેર-સ્ટોક હોલ્ડીંગ કંપની સંચાલકો-આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
આગળની પોસ્ટ