યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ૨૧મી જુનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી ભારત સહિત સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે ત્યારે આઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામ ખાતે પણ વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક રીતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા સતત ત્રણ દિવસ સુધી આઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામના વિદ્યાર્થીઓને સામુહિક સુર્ય નમસ્કાર, આસન, પ્રાણાયામ, સુક્ષ્મ વ્યાયમનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને સુર્ય નમસ્કાર, ઓમકાર, પદ્માસન, વજ્રાસન, વૃક્ષાસન,તાડાસન, અર્ધ ચક્રાસન, ભુજંગાસન, અર્ધનાવાસન,પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓનેઆઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામના પ્રિન્સિપાલ કવિતા સીંગ દ્વારા વિશ્વ યોગ દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીય સંસ્કૃતિમાં યોગ અને આયુર્વેદ બન્ને લગભગ એકસાથે ચાલ્યા આવે છે. આયુર્વેદ એ ભારતીય ઉપચાર પધ્ધતિ છે. વર્તમાન સમયમાં કસરત, નિયમિતતા, વગેરેને અન્ય આધુનિક ગણાતી ઉપચાર પદ્ધતિઓએ પણ અપનાવેલ છે, જે યોગ અને આયુર્વેદમાં સદીઓથી દર્શાવેલ છે. આધુનિક ઉપચાર પદ્ધતિઓમાં સૌથી મોટી મુશ્કેલી એક રોગનો ઉપચાર શરીરમાં અન્યત્ર આડ-અસરનો છે. જ્યારે યોગ અને આયુર્વેદ શરીરને નીરોગી રાખવા માટે છે. યોગથી વ્યક્તિ આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ મેળવી શકે છે,જે સરવાળે આપણને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે. યોગ શરૂઆતમાં કોઈ નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવા જોઈએ તથા સમય જતા તમારા શરીરની પ્રકૃતિ,કામનો પ્રકાર, કોઈ શારીરિક મર્યાદા હોય તો એ, ઉમર વગેરે અનુસાર વ્યક્તિ જાતે પોતાની જરૂરીયાત અને રૂચી પ્રમાણેના આસનો કરી શકે છે.