મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકમાતા નર્મદાની પવિત્ર પરિક્રમા કરતા યાત્રાળુઓની સુવિધામાં વધારો કરતી નર્મદા જેટીનું ભુમિપુજન કરતાં જાહેર કર્યું કે, આગામી એક વર્ષમાં આ કાર્ય પૂર્ણ કરી નર્મદા યાત્રિકોની યાત્રા સરકાર સુગમ બનાવશે. તેમણે આ અવસરે નર્મદાના પવિત્ર કાંઠે કબીરવડ શુકલતીર્થ સહિતના તીર્થક્ષેત્રોનો સર્વગ્રાહી વિકાસ કરવા ૫૨ કરોડની પ્રવાસન વિકાસ યોજના જાહેર કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની જીવાદોરી નર્મદા મૈયાના વહી જતાં રોકીને છેક સૌરાષ્ટ્ર કચ્છના સુકા વિસ્તારો સુધી કેનાલો મારફતે પહોંચાડ્યું છે. તેમણે ભરૂચના નગરજનોને પીવાનું મીઠું પાણી પુરુ પાડનારી ૩૦૦૦ કરોડની ભાડભુત યોજના આગામી નજીકના ભવિષ્યમાં કાર્યારંભ કરવાની કરેલી ઘોષણાને સૌએ હર્ષનાદ સાથે વધાવી લીધી હતી. મુખ્યમંત્રીએ એમ પણ જાહેર કર્યું કે, નર્મદા મૈયાના કિનારે આવેલા સંત આશ્રમો, ધર્મસ્થાનકો પણ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજય સરકાર વિકસાવશે. મુખ્યમંત્રીએ સાત કરોડના અંદાજીત ખર્ચે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નિર્માણ થનારી નર્મદા પરિક્રમા જેટી સાથે જ ૫૯૭ કરોડની દહેજ ધોધા રો-રો ફેરી સર્વિસ શરૂઆતના તબક્કે છે તેની વિગતો આપી હતી. આ ફેરી સર્વિસ શરૂ થતાં સુરત-ભાવનગર વચ્ચેનું અંતર ઘટશે અને સમય બચાવ સાથે ઇંધણ ફ્યુઅલમાં પણ નાગરિકોને બચત થશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતનો સર્વગ્રાહી વિકાસ એજ આપણી નેમ છે તેથી દહેજના ઔદ્યોગિક વિસ્તારને પણ રોજગાર સવલતોથી ધમધમતો બનાવ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નદીઓ, ધર્મસ્થાનો, તીર્થસ્થાનોના વિકાસ સાથો સાથ ગૌ ગંગા ગાયત્રીની રક્ષાને પણ અહેમિયત આપી છે. તેમણે રાજયમાં ઊંચી ઓલાદની ગૌવંશ મેળવવા તાલુકા મથકોએ નંદીધર પણ રાજય સરકાર શરૂ કરશે, તેની રૂપરેખા આપી હતી. વિજય રૂપાણીએ નર્મદા મૈયાના પવિત્ર આશીર્વાદ સાડા છ કરોડની ગુજરાતીઓ પર વરસતા રહે અને ગુજરાત દિવ્ય ભવ્ય સમૃધ્ધ સ્વસ્થ સ્વચ્છ બને તેવી વાંચ્છના કરી હતી. ભરૂચ જિલ્લા પ્રભારી અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અવસરને નર્મદા મૈયાના ગૌરવગાનનો અવસર ગણાવ્યો હતો. તેમણે આ નર્મદા પરિક્રમા જેટીના નિર્માણને મુખ્યમંત્રીના પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના પાયા ઉપર રચાયેલી પ્રતિબધ્ધતા વર્ણવી હતી. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, નર્મદા જેવી પવિત્ર લોકમાતાની પરિક્રમા જેમ જ વરિષ્ઠ નાગરિકોને રાજયના તીર્થધામોની યાત્રા ૫૦ ટકા સરકારની સહાયથી કરાવવા શ્રવણતીર્થ દર્શન યાત્રાની નવતર યોજના પણ આ સરકારે વયોવૃધ્ધના શ્રવણ બનીને સાકાર કરી છે. ગૃહ રાજયમંત્રીએ ગુજરાતમાં ધર્મ આસ્થા સાથે ગૌરક્ષાની સંકલ્પબધ્ધતા પણ વર્તમાન સરકારની ટોચ પ્રાથમિકતા છે તેની ભૂમિકા આપી હતી. રાજયમાં ગૌહત્યા ગૌવંશ કતલ કરનારાઓને આજીવન કેદ સાથે સખત નસ્યત કરવા માટે કડક કાયદો બનાવવામાં આવ્યો છે. તેની ભૂમિકા રાજય ગૃહમંત્રીએ આપી હતી. પ્રદીપસિંહ જાડેજાએ નર્મદા પરિક્રમા જેટીના પૂર્ણ થવાથી નર્મદા પરિક્રમા કરનારા સૌ કોઈને નિર્વિધ્ને સુવિધાયુક્ત યાત્રા કરવાનો આત્મ સંતોષ થશે, તે રાજય સરકારની જનસેવા દાયિત્વનું આગવું ઉદાહરણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, મા નર્મદા મૈયા સાત પવિત્ર નદીઓમાંથી એક છે. દેશ વિદેશમાં નર્મદા પરિક્રમાનું મહત્વ રહ્યું છે. પરિક્રમાવાસીઓને બે બોટ આપવામાં આવી છે. બે બોટ સાંસદ મનસુખભાઈ વસાવાના ફંડમાંથી આપવામાં આવશે આ બોટ માટે ડીઝલ ઠાકોર ગુણવંતભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ આપશે. પ્રજાની મુશ્કેલી નિવારવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ