રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પડધમ હવે શરૂ થઈ ગયા છે.અમદાવાદ શહેરમાંથી ચૂંટાઈને આવેલા ધારાસભ્યો કે જેમની વર્ષ-૨૦૧૪-૧૫ની તેમની વણવપરાયેલી ગ્રાન્ટ ૩૦ જુન સુધી વાપરી શકશે.એ પછી વણવપરાયેલી રકમ સરકારમાં જમા કરાવવાની રહેશે.ઉપરાંત વર્ષ-૨૦૧૬-૧૭ના વર્ષ માટે પણ ૩૦ સપ્ટેમ્બર સુધી જ ખર્ચ કરી શકાશે.આ અંગે મળતી માહીતી અનુસાર,અમદાવાદ શહેરમાંથી ચૂંટાઈને આવેલા ધારાસભ્યો માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે એક ખાસ પરિપત્ર કરીને તમામ વિભાગોને ધારાસભ્યો તરફથી વિવિધ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ બાબતમાં તાકીદ કરી છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે ધારાસભ્યો દ્વારા વિવિધ વિકાસ કામો માટે ફાળવવામાં આવેલી વર્ષ-૨૦૧૪-૧૫ની ગ્રાન્ટની રકમમાંથી નવા કામો મંજુર કરાવી શકાશે નહીં આ સાથે જ વર્ષ-૨૦૧૪-૧૫ અને વર્ષ-૨૦૧૫-૧૬ માટે ધારાસભ્યો દ્વારા ફાળવવામાં આવેલી વિવિધ વિકાસ કામો માટેની ગ્રાન્ટની રકમ ૩૦ જુન સુધી જ ખર્ચ કરી શકાશે.જૂલાઈના પ્રથમ સપ્તાહમાં વણવપરાયેલી ગ્રાન્ટની રકમ સરકારમાં પરત જમા કરાવવાની રહેશે.આ ઉપરાંત વર્ષ-૨૦૧૬-૧૭ માટે શહેરના ધારાસભ્યો દ્વારા વિવિધ વિકાસ કામો માટે જે ગ્રાન્ટની રકમની ફાળવણી કરવામાં આવી છે તે રકમમાંથી ૩૦ સપ્ટેમ્બર સુધી જ ખર્ચ કરી શકાશે.તમામ વિભાગોને એવી પણ સુચના આપવામાં આવી છે કે વિકાસકામો પુરા થયા બાદ કામ પુરા થયા અંગેનું એક કંપ્લીશન સર્ટીફિકેટ પ્લાનિંગ વિભાગને મોકલવાનું રહેશે.