નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે મળેલી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠકમાં જિલ્લાના જુનારાજ, દેવમોગરા, વિશાલખાડી અને માલસામોટ જેવા ઇકો-ટુરીઝમ કેન્દ્રોના વધુ વિકાસ માટે અંદાજે રૂા. ૯.૧૭ કરોડના વિવિધ વિકાસ કામોનું આયોજન ઘડી કઢાયું છે. તેની સાથોસાથ જુનારાજ માટે અગાઉના વર્ષની ફાળવાયેલી રૂા. ૨૦ લાખની ગ્રાંટ હેઠળના વિકાસકામોની વહિવટી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવા પણ સૂચના અપાઇ છે.
નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, નાયબ વન સંરક્ષકશ્રી સંદીપકુમાર, મદદનીશ વન સંરક્ષકશ્રી સાદીક મુજાવર સહિત પ્રવાસન સમિતિના સભ્યશ્રીઓ-જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી નિનામાના માર્ગદર્શન હેઠળ જુનારાજ માટે રૂા. ૨.૨૫ કરોડ, માલસામોટ માટે રૂા. ૧.૭૧ કરોડ, દેવમોગરા માટે રૂા. ૧.૮૦ કરોડ અને વિશાલખાડી માટે રૂા. ૩.૪૧ કરોડ મળી કુલ રૂા. ૯.૧૭ કરોડના વિકાસ કામોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે, જે મુજબની ગ્રાન્ટ ફાળવણી માટેની દરખાસ્ત સત્વરે મોકલી આપવા સૂચના અપાઇ છે.
જિલ્લા કલેક્ટરશ્રી નિનામાએ જિલ્લામાં રાજપીપલાથી જુનારાજ અને કોકટીથી દેવમોગરા સુધીનો નવીન માર્ગ બનાવવા માટે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રીને જરૂરી દરખાસ્ત તૈયાર કરીને નર્મદા વન વિભાગની મંજૂરી મેળવવા માટેની જરૂરી કાર્યવાહી પણ સત્વરે હાથ ધરવા સૂચના આપી હતી. બેઠકમાં ચર્ચા દરમિયાન આ વિસ્તારના આદિવાસી ભાઇ-બહેનોને લાઇવલીહુડ તાલીમ દ્વારા સ્થાનિક રોજગારીની વધુ તકો ઉપલબ્ધ બને તે દિશાના ઘનિષ્ઠ પ્રયાસો માટે પણ ભાર મુકાયો હતો.