છેલ્લા કેટલાક સમયથી અનેક સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. હવે લેટેસ્ટમાં કેરોસીન ખરીદી માટે તેમજ અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું છે. આ માટે જવાબદાર અધિકારીઓએ કહ્યું કે, જે લોકો કેરોસીન પર સબસિડી લઈ રહ્યા છે અને પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છે એ માટે તેમણે આધારનંબર આપવો ફરજિયાત છે. જે લોકો પાસે આધાર નથી તેમણે આધાર માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કેરોસીન સબસિડીના મામલે આધાર મેળવવા અથવા તેના માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર છે. અટલ પેન્શન યોજના સાથે આધાર લિંક કરાવવા માટે છેલ્લી તારીખ ૧૫ જૂન છે.જોકે આધારકાર્ડ ઇશ્યૂ થાય ત્યાં સુધી ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ, ફોટાવાળી પાસબુક, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના (મનરેગા) અંતર્ગત ઇશ્યૂ કરાયેલા રોજગાર કાર્ડ અને ગેજેટેડ ઓફિસર દ્વારા ઇશ્યૂ કરાયેલા સર્ટિફિકેટ માન્ય રહેશે.આ સિવાય સરકારે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ પર અંકુશ લગાવવા માટે એક નવો રસ્તો શોધી લીધો છે. આના કારણે હવે કોઈ નકલી લાયસન્સ નહીં બનાવી શકે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને નવું ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે કે રિન્યૂ કરાવવા માટે આધારકાર્ડને ફરજિયાત બનાવવા માટે કહી શકે છે. હાલમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આધારકાર્ડ અનિવાર્ય નથી. જો સરકાર આ નવો નિયમ બનાવે તો આધારકાર્ડ વગર નવું લાયસન્સ નહીં બને તેમજ જૂનું લાયસન્સ રિન્યૂ નહીં થાય. મળતી માહિતી પ્રમાણે નવો નિયમ ઓક્ટોબર, ૨૦૧૭થી લાગુ પડી શકે છે