પુત્રી સામે ખરાબ નજરથી જોનાર યુવકને પેટમાં ચપ્પુ હુલાવી દઇ ગંભીર ઇજા પહોંચાડી ખૂનની કોશિષના ચકચારભર્યા કેસમાં આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર(એએસઆઇ)ના પત્ની એવી મહિલા આરોપી રાજેશ્વરીબહેન ઉર્ફે મુન્નીબહેન લોકેન્દ્રસિંહ રાઠોડને અત્રેની એડિશનલ સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ફરિયાદપક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે. કેસના ઘણા સાક્ષીઓ જુબાનીમાં ફરી ગયા છે. વળી, ખુદ ફરિયાદની જુબાની પણ ફરિયાદપક્ષના તેમના કેસને સમર્થન આપતી નથી ત્યારે ફરિયાદીનો પુરાવો પણ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી અને આ સંજોગોમાં મહિલા આરોપી રાજેશ્વરીબહેન લોકેન્દ્રસિંહ રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે. આ કેસની વિગત એવી છે કે, શહેરના શાહીબાગ વિસ્તારમાં માધુપુરા પોલીસ લાઇન ખાતે રહેતા રાજેશ્વરીબહેન રાઠોડ ગત તા.૨૨-૧૧-૨૦૦૭ના રોજ રાહુલ બારોટ અને તેનો મિત્ર મયુર વાઘેલા કોઇ કામથી ઘરથી બહાર નીકળ્યા હતા, ત્યારે તે બંને જણાંને આંતરી રાજેશ્વરીબહેને તમે મારા ઘર પાસે કેમ આંટાફેરા કરો છો અને મારી પુત્રી સામે કેમ જુઓ છો એમ કહી પોતાના બ્લાઉઝમાંથી ચપ્પુ કાઢી રાહુલ બારોટને પેટમાં હુલાવી દીધુ હતું. જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં રાહુલને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ બનાવ અંગે રાહુલના સગાએ શાહીબાગ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસ અધિકારીના આરોપી પત્ની રાજેશ્વરીબહેન રાઠોડ તરફથી એડવોકેટ દિલીપ એમ.આહુજાએ કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ફરિયાદપક્ષનો કેસ બિલકુલ ખોટો અને બેબુનિયાદ છે. આરોપી એક મહિલા છે અને તેની વિરૂધ્ધ મૂકાયેલા તદ્દન ખોટા છે. કેસના સાક્ષીઓની જુબાનીમાં પણ તેને સમર્થન મળતું નથી. સૌથી અગત્યનું કે, મેડિકલ એવીડેન્સનો પુરાવો પણ સાબિત થતો નથી. આ કેસમાં આરોપી વિરૂધ્ધ કોઇ જ પ્રથમદર્શનીય કેસ બનતો નથી કે, ફરિયાદપક્ષનો નિશંકપણે પુરવાર થતો નથી. કારણે કે, ખુદ કેસના સાક્ષીઓ પોતાની જુબાનીમાંથી ફરી ગયા છે. આ સંજોગોમાં પુરાવાના અભાવે કોર્ટે શંકાનો લાભ આપી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા જોઇએ, જે તેમનો અધિકાર છે. કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી મહિલા આરોપીને નિર્દોષ છોડી મૂકી હતી.
(અનુસંધાન નીચેના પાને)