આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં કેવડીયા કોલોની ખાત “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના સ્થળ પાસે – વન વિભાગ નર્મદા અને સરદાર સરોવર નર્મદા નિગમના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વન પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજના પ્રિન્સીપાલશ્રી કે. રમેશ, નિગમના એન્જીનીયર સર્વશ્રી એચ.આર. જોરાવીયા અને શ્રી ગરાસીયા, ગામના સરપંચશ્રી અશોકભાઇ તડવી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય ધ્વાર ખુલ્લો મૂકાયો હતો.
આ પ્રસંગે ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજના પ્રિન્સીપાલશ્રી કે. રમેશે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરદાર સરોવર ડેમના કારણે ગુજરાતના વિકાસના દ્વાર ખુલ્લા થયા છે, જેનાથી ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની પણ જીવાદોરી પુરવાર થઇ છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા વન વિસ્તારની સાચવણી ખૂબ જ જરૂરી છે, ત્યારે આ સ્થળે ફ્લાવર ઓફ વેલીનો હાથ ધરાયેલો પ્રોજેક્ટ સફળતાપૂર્વક ઝડપથી પૂર્ણ થાય તેવી તેમણે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક ડૉ. સંદિપકુમારે આજના પર્યાવરણ દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, અન્ય પ્રવાસધામોની સરખામણીએ નર્મદા જિલ્લો સ્વચ્છ અને સુંદર છે. અહીંના લોકો માનવતાવાદી છે. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમના કારણે રોજગારીમાં વધારો થયો છે. “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ની આજુબાજુની ઘાટીમાં ફ્લાવર પ્લાન્ટ દ્વારા સુશોભિત કરી હરિયાળો નયનરમ્ય બનાવવાનું દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે. સરદાર સરોવર નર્મદા નિગમ, વન વિભાગ અને સ્થાનિક રહેવાસીઓના સહકારથી ઘાટી વિસ્તારમાં નદીની બન્ને સાઇડે ફ્લાવર ઓફ વેલીનો પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે. આવનારા બે-ત્રણ વર્ષમાં આ વિસ્તાર સુંદર નયનરમ્ય ફુલોથી હરિયાળો બનશે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પ્રવાસીઓ માટે તિલકવાડા તાલુકામાં મંજૂર થયેલો ટાઇગર સફારી પ્રોજેક્ટ પણ ટૂંક સમયમાં નિર્માણ પામશે. પ્રવાસન ક્ષેત્રે આ વિસ્તાર વિશ્વમાં આગવુ સ્થાન પ્રાપ્ત કરે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો ઉપરાંત પત્રકારો અને સ્થાનિક લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે નર્મદા વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ-કર્મચારીઓ, ગામ આગેવાનો, ગ્રામજનો વગેરે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમની શરૂઆતમાં આર.એફ.ઓ.શ્રી વી.સી. ધરીયાએ શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. જ્યારે કાર્યક્રમના અંતમાં કેવડીયાના આર.એફ.ઓ. શ્રી એ.એમ. ગોહિલે આભારદર્શન કર્યું હતું.