છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વીર સાવરકર પર વિવાદિત નિવેદન કરતા ચકચાર મચી ગઈ છે. સારવરકરની જયંતીના એક દિવસ અગાઉ કરાયેલા નિવેદનથી હોબાળો મચી ગયો છે. બઘેલે નેહરુની પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સાવરકરે સૌથી પહેલા બે રાષ્ટ્રનો સિદ્ધાંત આપ્યો, જેને પાછળથી મોહમ્મદ અલી ઝીણાએ અપનાવ્યો હતો.ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે હિન્દુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે ધર્મ આધારિત હિન્દુ અને મુસ્લિમ રાષ્ટ્રની કલ્પના કરી હતી. બીજરોપણ સાવરકરે કર્યું હતું અને તેને પૂર્ણ કરવાનું કામ ઝીણાએ કર્યું.
બઘેલે વધુમાં ઉમેર્યું કે સાવરકરે દેશની આઝાદી માટે લડત લડી, પરંતુ બાદમાં માફ કરવા માટે અંગ્રેજોને ડઝનબંધ પત્રો પણ લખ્યા હતા. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ સ્વતંત્રતા માટેના આંદોલનમાં સામલે થયા નહતા.સોમવારે પંડિત જવાહર લાલ નેહરુની પુણ્યતિથિ પર નિવેદન કરતા બઘેલે વીર સાવરકર પર ધાર્મિક આધારે દેશના ભાગલાનો આક્ષેપ કર્યો અને મોહમ્મદ અલી ઝીણાનો બચાવ કર્યો હતો. ભાગલા માટે ભારત ઝીણા અને તેની રાજકીય મહત્વકાંક્ષાને જવાબદાર ગણે છે, પરંતુ કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ઈતિહાસને યાદ કરીને નવો વિવાદ ઊભો કર્યો છે.લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને પોતાના નેતાઓના નિવેદનોથી ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. ત્યાં હવે ચૂંટણી બાદ પણ પોતાની ભૂલમાંથી કોઈ પાઠ નહીં શીખતા કોંગ્રેસના દિગજ્જ નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રીએ સાવરકરની જયંતી પર વિવાદિત ટિપ્પણી કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.