વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાંથી વીઆઈપી કલ્ચરને નાબુદ કરવા માટે વીઆઇપીઓની ગાડીઓ પરથી લાલબત્તી હટાવવાના આદેશ આપ્યા હતા. મોદીએ કહ્યું કે, દેશનો દરેક સામાન્યજન પણ વીઆઇપી છે ત્યારે મોદીની વાતને સાર્થક કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર-કોબા રોડ પર અકસ્માતમાં ઘાયલ લોકોને મદદ કરવા માટે પોતાનો કાફલો રોકી દીધો હતો. એટલું જ નહીં રૂપાણીએ ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે પોતાના કાફલામાંથી એક કાર આપી દીધી હતી.મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગર-કોબા રોડ પર એક રીક્ષા પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો, આ જ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો ત્યાં નીકળતો હતો. અકસ્માત જોતા જ રૂપાણીએ કાફલો રોકવા માટે કહ્યું હતું અને ઘાયલોને મદદ કરવા માટે જાતે જ દોડી આવ્યાં હતા. રૂપાણીએ ઘાયલોને સાંત્વના આપતા ઘાયલ થયેલી એક મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે પોતાના કાફલાની એક કાર આપી દીધી હતી. એટલું જ નહીં એક પીઆઈને પણ મહિલા સાથે તેમને મોકલી આપ્યો હતો.