કેરીના રસ અને દૂધમાં ભેળસેળ અને અપ્રમાણસર ધોરણોના ફુડ એડલ્ટ્રેશન(ખાદ્ય ભેળસેળ)ના કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાંગણમાં આવેલી કોર્ટ નં-૮એ વધુ ત્રણ વેપારીઓને છ-છ મહિનાની સખત કેદ અને દસ-દસ હજાર રૂપિયા દંડ ફટકારતો હુકમ કર્યો છે. કોર્ટે વેપારીઓની ભેળસેળ પ્રવૃત્તિઓની તીખી આલોચના કરી તેમને સબક સમાન સજા ફટકારી હતી. ા
આ કેસની વિગત એવી છે કે, ગત તા.૧૦-૫-૨૦૧૧ના રોજ શહેરના સીટીએમ વિસ્તારમાં અમી અખંડાનંદ સોસાયટી ખાતે રહેતા આરોપી ભરત ત્રિભુવનદાસ પટેલના ગણેશ ડેરી પાર્લર ખાતેથી અમ્યુકોના આરોગ્ય વિભાગના અધિકારીઓએ કેરીના રસનું સેમ્પલ લીધું હતું. જેમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ માલમૂ પડયું હતું.
તદુપરાંત, સીંગરવાના હુડકો નજીક ઇન્દિરા વસાહત ખાતે રહેતા આરોપી પ્રભાત સોમાભાઇ દેસાઇ ગત તા.૨૫-૮-૨૦૦૪ના રોજ તેમની લોડીંગ રીક્ષા લઇ દૂધની ફેરી કરવા જતા હતા ત્યારે ઓઢવ ગુરૂદ્વારા પાસેથી તેમના દૂધનું સેમ્પલ લેવાયું હતું. જેમાં મીલ્ક ફેટ જે ૪.૫ ટકા હોવું જોઇએ તેના બદલે ૪ ટકા જણાયું હતું, જયારે સોલીડ નોન ફેટ ૮.૫ ટકા હોવું જોઇએ તેના બદલે ૭.૦૭ ટકા માલૂમ પડયું હતું. આ જ પ્રકારે બાપુનગરના તપોવન સોસાયટી વિભાગ-૧ ખાતે રહેતા બાબુ માધવભાઇ પટેલ દૂધની ફેરી માટે નીકળ્યા હતા ત્યારે ગત તા.૧૩-૧-૨૦૦૪ના રોજ દૂધનું સેમ્પલ લેવાયું હતું. જેમાં સોલીડ નોન ફેટ ૮.૫ ટકા હોવું જોઇએ તેના બદલે ૬.૯૭ ટકા માલૂમ પડયું હતું.
આ કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એડવોકેટ મનોજ ખંધારે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ઉપરોકત ત્રણેય વેપારીઓ વિરૂધ્ધ કેરીના રસ અને દૂધમાં ભેળસેળ બદલ ભેળસેળના કાયદા હેઠળ કેસ દાખલ કરાયા છે, જે ગુનો ઘણો ગંભીર છે. કારણ કે, દૂધ નાના બાળકોથી લઇ બિમાર, વૃધ્ધ, અશકત સૌકોઇ આહારમાં લેતા હોય છે. ખુદ ડોકટરો પણ દવાઓ દૂધ સાથે લેવાની સલાહ આપતા હોય છે ત્યારે જો આવા વેપારીઓ દૂધ જેવી આહારપ્રદ વસ્તુમાં પણ ભેળસેળ કરે તો તેવા ગંભીર ગુનાને હળવાશથી લઇ શકાય નહી. કોર્ટે કાયદાકીય જોગવાઇ અને સુુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં લઇ આરોપી વેપારીઓને સબક સમાન સજા ફટકારવી જોઇએ. કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપી વેપારીઓને છ-છ મહિનાની સજા ફટકારી હતી.
પાછલી પોસ્ટ