વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશમાં સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણી દરમિયાન ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. બંનેએ પુરતી તાકાત લગાવી દીધી હતી. એકબાજુ મોદીએ ૧૪૨ અને રાહુલ ગાંધીએ ૧૪૫ રેલીઓ યોજી હતી. રાહુલ ગાંધી મોદી કરતા પણ પ્રચારમાં વધારે આગળ રહ્યા હતા. કારણ કે, રાહુલ ગાંધીએ આ ગાળા દરમિયાન આઠ પત્રકાર પરિષદ પણ યોજી હતી. આ ઉપરાંત રોડ શો પણ યોજ્યા હતા. કેટલાક મિડિયા ગ્રુપને ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા. ભાજપના પ્રચાર અભિયાનનું નેતૃત્વ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. મોદીએ પ્રચાર દરમિયાન ૧૪૨ રેલીઓ યોજી હતી અને ૧.૦૫ લાખ કિલોમીટરની યાત્રા કરી હતી. આ અભિયાનના ગાળા દરમિયાન મોદીએ ઉત્તરપ્રદેશ, બંગાળ, ઓરિસ્સા, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને ગુજરાત પર ખાસ ધ્યાન આપ્યું હતું. મોદીએ ચાર રોડ પણ યોજ્યા હતા. આ જનસભાઓ મારફતે મોદીએ દોઢ કરોડ લોકોનો સંપર્ક કર્યો હતો. જનકલ્યાણ યોજનાઓના ૭૦૦૦થી વધુ લાભાર્થીઓ માટે વાતચીત પણ કરી હતી. આ ગાળા દરમિયાન તેઓએ ૧.૦૫ લાખ કિલોમીટરની યાત્રા કરી હતી અને ત્રણ દિવસ એવા પણ આવ્યા હતા જ્યારે એક જ દિવસ મોદીએ ૪૦૦૦ કિલોમીટરની યાત્રા કરી હતી. કોંગ્રેસના મિડિયા વિભાગના લોકો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં પ્રચાર કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી જ્યારે ૧૭મી મેના દિવસે હિમાચલ પ્રદેશના સોલન વિસ્તારમાં જનસભા કરીને ગાંધીએ પ્રચાર અભિયાનનો અંત આણ્યો હતો. બીજી તરફ પાર્ટી પ્રમુખ તરીકે રાહુલ ગાંધીએ તમામ જવાબદારી પણ સંભાળી હતી. બીજી બાજુ અમિત શાહે ૧૬૧ જનસભાઓ યોજી હતી. આના માટે ૧.૫૮ લાખ કિલોમીટરની યાત્રા કરી હતી. આ ગાળા દરમિયાન જુદી જુદી ચૂંટણી સભાઓની સાથે સાથે ૧૮ રોડ શો પણ યોજ્યા હતા. દેશભરમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ૧૫૦૦ સભાઓ થઇ હતી જ્યારે પ્રદેશ સ્તરના નેતાઓની ૩૮૦૦ સભાઓ થઇ હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ૧૩૩ સભાઓ થઇ હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ૯૧, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ૮૬ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રમસિંહની ૫૫ સભા થઇ હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ દેશના તમામ ક્ષેત્રોમાં પ્રવાસ કરીને લોકોના મન જાણવાના પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષની સાથે બહેન અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા વાઢેરાએ પણ જવાબદારી સંભાળી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ