ભારત સ્થિત ચીનના રાજદૂત લુઓ ઝાઓહુઈનું કહેવું છે કે ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઉતાર-ચઢાવવાળા સંબંધોને સામાન્ય કરવા માટે સહમતિ સધાઈ રહી છે. જેથી બન્ને દેશ વચ્ચે ફરી સ્થિરતા આવી શકે. લુઓ ટૂંક જ સમયમાં તેમનું પદ છોડીને બેઈજિંગ પરત ફરી રહ્યાં છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચેની તકરાર એક છત નીચે રહેતા બે ભાઈઓ વચ્ચે થતા ઝઘડા જેવી છે.ભારત અને ચીન વચ્ચે જૂન ૨૦૧૭માં ડોકલામ મુદ્દે સરહદ પર ઘર્ષણ જોવા મળ્યું હતું. ત્યારે લુઓએ બન્ને દેશો વચ્ચેના તનાવમાં ઘટાડો કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
એમ્બેસીના એક કાર્યક્રમ દરમિયાન લુઓએ કહ્યું કે બન્ને દેશો તેમના સંબેધોને સ્વસ્થ અને સ્થિર દિશામાં વધારવા ઈચ્છે છે. ડોકલામ વિવાદને પણ બન્ને દેશોએ નજરઅંદાજ ન કરતા સાથે બેસીને તેનો નિવેડો લાવ્યા, જેથી પસ્પરના સંબંધોને સામાન્ય કરી શકાય. તે મારું અને બન્ને દેશોના નેતાઓનું કામ હતું જેમા અમે સફળ નિવડ્યા હતા.લુઓએ કહ્યું કે વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઘણી સારી કેમેસ્ટ્રી છે. બન્ને નેતાઓ વચ્ચે છેલ્લા પાંચ વર્ષોમાં ૧૭ વખત મુલાકાત થઈ ચુકી છે. વ્યસ્ત હોવા છતા તેઓ એકબીજાને મળવા માટે સમય કાઢી લેતા હતા. લોકસભા ચૂંટણી બાદ પણ ભારત અને ચીન વચ્ચે મિત્રતા રહેશે. આવતા મહીને એસસીઓ સમિટ અને ત્યાર બાદ જી-૨૦ સમિટમાં પરંપરા હેઠળ તમામ નેતા એકબીજા સાથે મુલાકાત કરશે.ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ અંગે લુઓએ કહ્યું કે આ પ્રકારના મુદ્દાઓ ઈતિહાસમાં છંછેડાયા હતા જેનું સમાધાન લાવતા ઘણો સમય લાગી જશે. પરંતુ તેનું સમાધાન લાવતી વખતે શાંતિ જાળવવી ઘણી જરૂરી છે. આપણે આર્થિક ભાગીદારીને પણ મજબૂત કરવી પડશે અને તમામ મતભેદોને ભૂલીને આગળ વધવું પડશે.