કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે ચાર જજના નામ નક્કી કરી લીધા છે. આ જજની નિમણૂક સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજોની નિર્ધારિત સંખ્યા ૩૩ પુરી થઈ જશે.
અત્યારે સુપ્રીમ કોર્ટમાં ૨૭ જજ છે.સૂત્રોની મળતી માહિતી પ્રમાણે જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતના નામ નક્કી કરાયા છે.અગાઉ કેન્દ્ર સરકારે વરિષ્ઠતાનો હવાલો આપીને જસ્ટિસ બોઝ અને જસ્ટિસ બોપન્નાની નિમણૂકની કોલેજિયમની ભલામણને નકારી દીધી હતી.
આ અંગે સુપ્રીમ કોર્ટે કોલેજિયમે કેન્દ્રની દલીલને ફગાવતા નિમણૂકની ભલામણ ફરી કેન્દ્ર પાસે મોકલી હતી.આ ઉપરાંત જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્તની સુપ્રીમ કોર્ટમાં નિમણૂકની ભલામણ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળ્યા બાદ આ અંગેનું મંગળવાર સુધી નોટિફિકેશન જાહેર થઈ શકે છે. જસ્ટિસ બોઝ ન્યાયાધીશોની ઝારખંડ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ છે અને જજોની વરિષ્ઠતાના ક્રમમાં તે ૧૨માં નંબરે છે. સાથે જ જસ્ટિસ બોપન્ના ગૌહાટી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ છે અને જજોની વરિષ્ઠતાના ક્રમમાં ૩૬માં નંબરે છે.જસ્ટિસ ગવઈ બોમ્બે હાઈકોર્ટના જજ છે, જ્યારે જસ્ટિસ સૂર્યકાંત હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે.