લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામ ૨૩મી મેના રોજ જાહેર થશે. જોકે, પરિણામ પહેલા જ અનેક નેતાઓએ પીએમ પદ માટે પોતાની દાવેદારી રજૂ કરી છે. બસપાના સુપ્રીમો માયાવતીએ દાવો કર્યો છે કે તેણી વડાંપ્રધાન પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે.
એક નિવેદનમાં માયાવતીએ કહ્યું કે, જ્યાં સુધી વિકાસની વાત છે, બહુજન સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશની સૂરત બદલી નાખી છે. તેના આધારે કહી શકાય કે લોકોના કલ્યાણ અને દેશના વિકાસને જોતા બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ વડાંપ્રધાન બનવા માટે ફિટ છે, જ્યારે નરેન્દ્ર મોદી અનફિટ છે.
પોતાની સિદ્ધિઓ વર્ણવતાં માયાવતીએ કહ્યું કે, ચાર વખત ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી રહેતા તેમની છબિ એકદમ સ્વચ્છ છે. સાથે જ તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખતા લોકોના હિતમાં કામો કર્યા છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે વડાપ્રધાન પદ માટે વિપક્ષના ત્રણ નામનું સમર્થન કર્યું હતું. જેમાં માયાવતીનું નામ પણ સામેલ હતું. આ ઉપરાંત ગત દિવસોમાં અખિલેશ યાદવે પણ માયાવતીને પીએમ પદના દાવેદાર ગણાવ્યા હતા.