પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસા બાદ ચૂંટણી પંચે પ્રચાર પર રોક લગાવી દીધી છે. આ મામલે વિપક્ષ દ્વારા ચૂંટણી પંચની કાર્યવાહી પર સતત સવાલ ઉઠી રહ્યા છે. આરજેડીના નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ભાજપ સેલની જેમ કામ કરી રહ્યું છે.
તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા પ્રચાર અભિયાન પર રોક સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની લોકશાહી ભાવનાની વિરુદ્ધ છે. ચૂંટણી પંચ ભાજપ સેલની જેમ કામ કરી રહ્યું છે. આ લડાઇમાં મમતા બેનરજીને અમારું સંપૂર્ણ સમર્થન છે.
દરમિયાન મમતા બેનરજીએ પણ બંગાળ મામલે સમર્થન કરવા બાબતે બાકીના દળો અને નેતાઓને ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે, માયાવતી, અખિલેશ, કોંગ્રેસ, ચન્દ્રબાબુ નાયડુ અને બાકીના તમામ લોકોને મને અને બંગાળના લોકોને સમર્થન કરવા માટે ધન્યવાદ. ભાજપના દબાણમાં ચૂંટણી પંચે પક્ષપાતી નિર્ણય લીધો છે આ લોકશાહી પર સીધો હુમલો છે. જનતા તેનો જડબાતોડ જવાબ આપશે.