મધ્યપ્રદેશની એક સરકારી શાળાનાં એક શિક્ષકે છઠ્ઠા ધોરણમાં ભણતી એક બાળકીને ૧૬૮ વખત લાફા મારવા માટે અન્ય બાળકોને કહ્યુ હતુ. આ અંગે ફરિયાદ થતા પોલીસે આ શિક્ષકની ધરપકડ કરી હતી અને કોર્ટે આ શિક્ષકને ૧૪ દિવસનાં રિમાન્ડ પણ આપ્યા હતા.આ ઘટના મધ્યપ્રદેશનાં જાબુઆ જિલ્લાનાં થાંડલા તાલુકાની છે. આ હેવાનિયત શિક્ષકનું નામ મનોજ વર્મા (૩૫) છે.જવાહર નવોદય વિદ્યાલયમાં ભણાવતા મનોજ વર્માએ વર્ગખડંમાં બાળકોને એવું કહ્યુ કે, છ વર્ષની એક બાળકીને ૧૬૮ વખત લાફા મારવા.ભોગ બનનાર બાળકીનાં પિતા શિવ પ્રતાત સિંઘે જણાવ્યું કે, તેમની દિકરી જાન્યુઆરી થી ઓક્ટોબર મહિના સુધી શાળા ગઇ નહોતી. કેમ કે, તેની તબીયત સારી નહોતી.
જાન્યુઆરી ૧૧નાં રોજ જ્યારે બાળકી તેનું હોમવર્ક કર્યા વગર શાળાએ ગઇ ત્યારે વર્ગમાં ભણાવતા શિક્ષકે અન્ય બાળકોને આદેશ કર્યો કે, આ બાળકી હોમવર્ક કરીને આવી નથી તેથી તેને લાફા મારો અને એ રીતે તેને શિક્ષા કરી હતી.આ પછી ૧૪ છોકરીએ રોજ બે વખત સતત છ દિવસ સુધી તેને લાફા માર્યા હતા.આ ઘટનાની જાણ થતા, બાળકીનાં પિતાએ શાળાનાં મેનેજમેન્ટમાં ફરિયાદ કરી હતી. શાળાએ આ ઘટનાનાં મામલે તપાસ સમિતિ રચી હતી અને તપાસમાં સત્ય આવ્યુ કે, શિક્ષકે આવું કૃત્ય કર્યુ હતુ અને ત્યારબાદ તેને સસ્પેન્ડ કર્યો હતો.આ દરમિયાન, બાળકીનાં પિતાએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. તેણે પોલીસ ફરિયાદમાં કહ્યુ કે, આ ઘટના પછી તેની દિકરી આઘાતમાં સરી પડી હતી અને તેની તબીયત ખરાબ થઇ ગઇ હતી અને શાળાએ જવાની ના પાડતી હતી.આ મામલે પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી અને કોર્ટે જામીન પણ આપવાની ના પાડી દીધી.