બિહારમાં હવે લાલુપ્રસાદ યાદવ પણ મેદાને ઉતર્યા છે. લાલુ પ્રસાદ યાદવે ફેસબુક પર પોસ્ટ લખીને નીતિશકુમારને આડે હાથ લીધા છે. ઘાસચારો કૌભાંડ મામલે જેલમાં બંધ લાલૂ પ્રસાદ યાદવે નિતીશકુમારના નામની એક ફેસબુક પોસ્ટ લખી છે અને જેમાં તેમણે પીઠ પાછળ છરી ભોંકનારા ગણાવ્યા છે. આરજેડીના અધ્યક્ષ લાલૂ પ્રસાદે બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારને કહ્યું કે તીરનો જમાનો બદલાઇ ચૂક્યો છે.
લાલુ પ્રસાદે ફેસબુક પર એક પોસ્ટર પણ શેર કર્યુ છે અને લખ્યું છે કે, સાંભળો નાનાભાઈ નીતિશ… મને લાગી રહ્યું છે કે હવે તમને અજવાળાથી ખૂબ જ નફરત થઈ ગઈ લાગે છે.
દિવસભર લાલુ અને તેમની લાલટેન લાલટેનનો જાપ કરી રહ્યા છો. તમને ખબર છે ને કે લાલટેન એક પ્રકાશ, રોશનીનો પર્યાય છે. પ્રેમ અને ભાઈચારાનું પ્રતિક છે. ગરીબોમાંથી અંધારૂ હટાવવાનું સાધન છે. અમે અંધારૂ દૂર કર્યુ અને દૂર કરતા રહીશું. પણ તમારૂ ચિહ્ન તીર તો હિંસા ફેલાવનારું હથિયાર છે. માર કાટ અને હિંસાનો પર્યાય છે. તીરનો જમાનો હવે બદલાઈ ચૂક્યો છે. તીર હવે સંગ્રહાયલમાં જ જોવા મળી રહ્યા છે. જ્યારે લાલટેન તો દરેક જગ્યાએ સળગતી જોવા મળશે. કારણ કે ૧૧ કરોડ ગરીબ જનતાની પીઠમાં તમે વિશ્વાસઘાતનું તીર ભોંક્યું છે. બાકી પછી તમે હવે કીચડવાળા ફૂલમાં તીર ભોંકો કે છુપાવો. તમારી મરજી.