લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે અનેક વખત વડાપ્રધાન મોદી વિરૂદ્ધ આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ કરી છે. પરંતુ દર વખતે ચૂંટણી પંચ તરફથી પીએમ મોદીને ક્લિન ચીટ મળી છે. ત્યારે હવે મંગળવારે વડાપ્રધાનને આઠમી અને નવમી ફરિયાદમાં પણ ક્લિન ચીટ મળી ગઈ છે. તેમાં એક ફરિયાદ ૨૩ એપ્રિલે અમદાવાદમાં કથિત રોડ શો વિશે હતી અને બીજી ફરિયાદ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક ભાષણનો કેસ હતો.
હકીકતમાં ૨૩ એપ્રિલે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં મતદાન કર્યું હતું. તેઓ મતદાન કરવા ખુલી જીપમાં ગયા હતા. તે વિશે જ વિપક્ષે ફરિયાદ કરી હતી કે આ એક રોડ શો સમાન છે અને તેમણે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. જે વિશે હવે ચૂંટણી પંચ તરફથી પીએમ મોદીને ક્લિન ચીટ આપવામાં આવી છે.
આ સિવાય કર્ણાટકના ચિત્રદુર્ગમાં આપવામાં આવેલા ભાષણમાં પણ વડાપ્રધાનને ક્લિન ચીટ મળી છે. આ ભાષણમાં વડાપ્રધાને મતદારોને અપીલ કરી હતી કે તેઓ બાલાકોટ હવાઈ હુમલાના નાયકોને સમર્પિત કરવા માટે મતદાન કરે.
પીએમના આ નિવેદન વિશે વિપક્ષે સેનાના નામ પર મતદાનનો આરોપ લગાવ્યો હતો. આ વિશે પણ હવે ચૂંટણી પંચ તરફથી ક્લિન ચીટ આપવામાં આવી છે. આ પહેલાં પણ વડાપ્રધાનને સેનાનું નિવેદન, પુલવામા ઘટના સહિત અન્ય કેસમાં પણ ક્લિન ચીટ મળી ગઈ છે.