ભારતીય ક્રિકેટ ટીમને ૨૦૧૧માં વન ડેમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નીભાવનારા યુવરાજ સિંહને આશા છે કે ૩૦ મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલી સ્પર્ધામાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ખાસ પ્રદર્શન કરશે. ટેલીવિઝન શૉમાં મહિલાઓને લઇને અભદ્ર ટિપ્પણી કરવાના કારણે પ્રતિબંધ ભોગવનારા હાર્દિક પંડ્યાએ પુનરાગમન કર્યું અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
યુવરાજને લાગે છે ૫૦ ઑવરમાં હાર્દિક પંડ્યાની ધમાકેદાર બેટિંગ ભારત માટે ફાયદાકારક રહેશે. ડાબોડી બેટ્સમેન યુવરાજે કહ્યું કે, “હું તેની સાથે વાત કરી રહ્યો હતો અને મે તેને કહ્યું કે તારી પાસે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરવાની તક છે.” યુવરાજે કહ્યું કે, “તે જે રીતે અત્યારે બેટિંગ કરી રહ્યો છે તે કમાલની છે અને આશા કરીશ કે તે આ ફૉર્મને વર્લ્ડ કપમાં પણ જાળવી રાખે. તે વચ્ચે વચ્ચે સારી બૉલિંગ પણ કરી રહ્યો છે.”
યુવરાજે કહ્યું કે, “કોલકાતા સામે ૯૧ રનની ઇનિંગ તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ હતી. તે એવી લયમાં છે જે દરેક બેટ્સમેન ઇચ્છે છે. હું પ્રેક્ટિસ મેચોથી જોઇ રહ્યો છું કે તે બૉલને શાનદાર રીતે ફટકારી રહ્યો છે. મે તેને કહ્યું કે જે રીતે તું બેટિંગ કરી રહ્યો છે તે જોઇને લાગે છે કે વિશ્વ કપ શાનદાર રહેશે. કોલકાતા સામે તેણે ૩૪ બૉલમાં ૯૧ રન બનાવ્યા. આઈપીએલમાં મારા માટે કદાચ આ સૌથી શાનદાર ઇનિંગમાંથી એક હતી.”