મેલેરીયા મુક્ત ગુજરાત- ૨૦૨૨ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં મેલેરીયા નિર્મૂલનના રાજ્યવ્યાપી કાર્યક્રમમાં આરોગ્યતંત્રના પ્રયાસોની સાથોસાથ અન્ય વિવિધ સરકારી વિભાગોના સહયોગથી આ કામગીરી વધુ અસરકારક બનાવી તેનો લક્ષ્યાંક સિધ્ધ કરી શકાય તે માટે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષસ્થાને ગઇકાલે સાંજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં સંબંધિત વિભાગોને આ સંદર્ભે સોંપાયેલી કામગીરી ચીવટપૂર્વક હાથ ધરવા અને માસિક પ્રગતિ અહેવાલ રજુ કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને શ્રી નિનામાએ સૂચના આપી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગત તા. ૭ મી મે, ૨૦૧૭ નાં રોજ રાજકોટ ખાતેથી મેલેરીયા મુક્ત ગુજરાત- ૨૦૨૨ ના કાર્યક્રમનું લોંચીગ કરાયું હતું અને તેના સંદર્ભમાં મેલેરીયા નિર્મૂલન કામગીરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો છે.
રાજપીપલા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એન.સી. વેકરીયા, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી વિપુલ ગામિત, જિલ્લા મેલેરીયા નિયંત્રણ અધિકારીશ્રી ડૉ. પરીખ સહિત જિલ્લાનાં સંબંધિત વિભાગનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જિલ્લાના શિક્ષણ, પંચાયત, કૃષિ, સિંચાઇ, માર્ગ અને મકાન વિભાગ વગેરે જેવા વિભાગોને જિલ્લામાં મચ્છરનાં ઉત્પતિ સ્થાનો શોધવા અને તેમાં જો કોઇ તાંત્રિક મદદની જરૂર હોય તો જિલ્લા આરોગ્યતંત્રનો સંપર્ક સાધી સોંપાયેલી જવાબદારી સુપેરે પાર પાડવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. માસ દરમિયાન આ સંદર્ભે થયેથી કામગીરીની આંકડાકીય વિગતો સાથેનો અહેવાલ દર માસની સમીક્ષા બેઠકમાં રજુ કરવાની પણ તેમણે સૂચના આપી હતી.
મેલેરીયા નિર્મૂલન કાર્યક્રમ સંદર્ભે લોકજાગૃત્તિ વધુ સઘન બનાવવા માટે જિલ્લા આરોગ્યતંત્ર, જિલ્લા માહિતી વિભાગ, શિક્ષણ વિભાગ વગેરે જેવા વિભાગો થકી પરંપરાગત પ્રચાર-પ્રસાર માધ્યમોનો મહત્તમ ઉપયોગ થાય તે જોવાની પણ શ્રી નિનામાએ હિમાયત કરી હતી. પ્રચાર-પ્રસારની સાથોસાથ આરોગ્ય-શિક્ષણની કામગીરી થકી મેલેરીયા રોગનાં અટકાયતી પગલાં અંગે લોકજાગૃત્તિ કેળવવા પણ તેમણે જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લો API- 1 કરતાં ઓછી રેન્કમાં હોવાથી એટલે કે દર ૧૦૦૦ ની વસ્તીએ મેલેરીયાનાં ૧ કરતાં પણ ઓછો દરદીના કેસોની રેન્કમાં આવે છે. એટલે કે હાલમાં નર્મદા જિલ્લાએ ઉક્ત સિધ્ધિ હાંસલ કરેલ છે. આમ છતાં જિલ્લાની આ પરિસ્થિતિ જળવાઇ રહે અને હજીપણ વધુ અસરકારકતાથી આ દિશામાં કામગીરી થાય તેવા સંયુક્ત પ્રયાસો આદરવા ઉપર શ્રી નિનામાએ ખાસ ભાર મૂક્યો છે.
જૂન મહિનો મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. તેને અનુલક્ષીને મેલેરીયા મુક્ત ગુજરાત- ૨૦૨૨ અભિયાનનાં ભાગરૂપે આરોગ્યકર્મીઓ, આશાવર્કરો દ્વારા ઘેરઘેર ફરીને તાવના કેસોની શોધ કરવા અને સારવાર તથા સલાહ પુરી પાડવાની ઝુંબેશ પણ હાથ ધરાઇ છે. તેમજ ધરોનાં પણિયારાં, ટાંકી જેવા સ્થળોએ મચ્છરોનાં પોળાની તપાસ અને નાશ કરવાની કામગીરી પણ સાથોસાથ હાથ ધરવાની આ બેઠકમાં સૂચના આપવામાં આવી છે.