કેરળમાં યુવા કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા ગૌરક્ષાનાં કાયદાનો અનોખો વિરોધ કરવા ગાયની સરેઆમ હત્યા કરી મિજબાની કરવાની જઘન્ય ઘટનાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. વડોદરામાં યુવા યોદ્ધા સંગઠનનાં યુવાનોએ રાહુલ ગાંધીનાં પોસ્ટરને જૂતા મારી કેરળની ઘટનાનો વિરોધ કર્યો હતો.
ગૌરક્ષાનાં કાયદાને લઇને દેશભરમાં ભારે હંગામો મચ્યો છે. ક્યાંક કાયદાનું સમર્થન થઇ રહ્યું છે તો ક્યાંક તેનો વિરોધ થઇ રહ્યો છે. કેરળમાં આ કાયદાના વિરોધમાં કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તેના પુરજોર વિરોધ સાથે દેશભરમાં હંગામો મચ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા કેરળની ઘટનાનાં વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે વડોદરામાં યુવા યોદ્ધા સંગઠન દ્વારા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં પોસ્ટરને જાહેરમાં જૂતા મારવામાં આવ્યા. શહેરનાં શહિદ ભગતસિંહ ચોકમાં સંગઠનના કાર્યકરોએ ગૌમાતાની પૂજા કરવાની સાથે રાહુલ ગાંધીના કટ આઉટને જૂતા મારી કેરળની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. યુવા યોદ્ધા સંગઠનના કાર્યકરોએ કેન્દ્રની મોદી સરકારનાં મંત્રી કિરણ રિજુજુનો પણ ગૌમાંસ ખાવા બદલ વિરોધ કરી રિજુજુને રાક્ષસી વૃતિનાં ગણાવ્યા હતા.