બાળકોમાં મોબાઇલ ફોન, ટી.વી અને સોશ્યલ મીડિયાના વધતા જતા ઉપયોગના કારણે નાનપણથી જ તેમની સોશ્યલ લાઇફ, વર્તણુંક તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. જેને ’સ્ક્રીન એડિક્શન’ તરીકે ઓળખવામાં આવે છે. વડોદરામાં જ ૧૬ વર્ષ સુધીની ઉંમરના ૪૫ હજારથી વધુ બાળકો સ્ક્રીન એડિક્શનનો ભોગ બની ગયા છે. ભારતભરમાં આ આંકડો ૪ કરોડથી પણ વધારેનો હોવાનું અનુમાન છે.
હાલના આધુનિક યુગમાં ટેક્નોલોજીએ માણસનું જીવન સરળ બનાવવાના સેંકડો શિખરો સર કર્યા છે. પરંતુ જે રીતે દરેક વસ્તુના સારા અને ખરાબ એમ બે પાસા હોય છે, તે જ રીતે ટેક્નોલોજીના ખરાબ પાસા તરીકે ’સ્ક્રીન એડિક્શન’ નામની બીમારીએ જન્મ લીધો છે. પુખ્ત વયના લોકો માટે તો ઠીક પરંતુ કુમળી વયના બાળકો માટે વધુ નુકસાનકારક છે. હાલમાં જે રીતે વાલીઓ પોતાના બાળકોને શાંત રાખવા, શાંતિથી જામી લે તે માટે અથવા તો બાળક શાંતિથી એક જગ્યાએ બેસી રહે તે માટે ટી.વીનું રિમોટ આપી દેતા હોય છે અથવા તો મોબાઈલ પકડાવી દેતા હોય છે. વધારે સમય સુધી જો બાળકો આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહે તો તેમના શારીરિક અને માનસિક વિકાસ રૂંધાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.