રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સોમવારે બજરંગ પૂનિયા અને મહિલા રેસલર વિનેશ ફોગાટને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવાની ભલામણ કરી છે. તો નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એનઆરએઆઈ)એ હિના સિદ્ધૂ અને અંકુર મિત્તલને ખેલ રત્ન આપવાની ભલામણ કરી. ૨૦૧૮માં વિરાટ કોહલી અને મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂને ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.ગત વર્ષે રેસલર બજરંગ પૂનિયાએ દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર માટે ખુદને નજરઅંદાજ કરવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને કોર્ટમાં જવાની ધમકી આપી હતી. પરંતુ પોતાના ગુરૂ યોગેશ્વર દત્તે સમજાવ્યા અને ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ સાથે મુલાકાત કર્યા બાદ તેણે પોતાનો ઇરાદો બદલ્યો હતો.રેસલિંગ ફેડરેશન તરફથી રાહુલ અવારે, હરપ્રીત સિંહ, દિવ્યા કાકરાન અને પૂજા ઢાંડાને અર્જુન એવોર્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે. ફેડરેશને મેજર ધ્યાનચંદ પુરસ્કાર માટે ખેલ મંત્રાલયને કોચ ભીમ સિંહ અને જયપ્રકાશનું નામ મોકલ્યું છે. બીજીતરફ એનઆરએઆઈએ અંજુમ મૌદગિલ, શહજાર રિઝવી અને ઓમ પ્રકાશ મિઠરવાલને અર્જુન એવોર્ડ આપવાની ભલામણ કરી છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પણ મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવને અર્જુન એવોર્ડ આપવાની ભલામણ કરી છે. ખેલ મંત્રાલય રમતગમતના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિ હાસિલ કરનાર ખેલાડીઓને આ પુરસ્કાર આપે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ (સીઓએ) અને બીસીસીઆઈની ચર્ચા બાદ આ ચાર નામ નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં શમી, બુમરાહ અને જાડેજાની ભારતની વિશ્વ કપની ટીમમાં પણ પસંદગી કરવામાં આવી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ