ઉત્તરપ્રદેશની ચર્ચાસ્પદ અને હાઈપ્રોફાઇલ વારાણસી સીટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે સમાજવાદી પાર્ટી-બસપ ગઠબંધને પોતાના ઉમેદવારને હવે બદલી નાંખ્યો છે. સોમવારના દિવસે ઉમેદવારીપત્ર દાખલ કરવાના છેલ્લાં દિવસે સમાજવાદી પાર્ટીના ઉમેદવારને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ રહી હતી.
છેલ્લી ઘડીએ બીએસએફમાંથી બરખાસ્ત કરવામાં આવેલા જવાન તેજબહાદુરને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આને લઇને ચર્ચા પણ જોવા મળી રહી છે. સમાજવાદી પાર્ટીના પૂર્વ ઘોષિત ઉમેદવાર શાલિની યાદવ અને બરખાસ્ત જવાન તેજબહાદુર યાદવ દ્વારા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જોકે, મોડેથી આજે સમાજવાદી પાર્ટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તેજબહાદુર યાદવ વડાપ્રધાનની સામે મેદાનમાં રહેશે. શાલિની યાદવ દ્વારા નામ પરત ખેંચી લેવામાં આવશે. આપહેલા સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા મનોજ રાયે બરખાસ્ત જવાન તેજબહાદુર યાદવની સાથે ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. મનોજ રાય ધૂપચંડી બીએસએફના બરખાસ્ત કરવામાં આવેલા જવાન બહાદૂર યાદવ સાથે ઉમેદવારી કરવા પહોંચ્યા હતા. ધૂપચંડીએ કહ્યું હતું કે, હવે તેજબહાદુર યાદવ ઉમેદવાર તરીકે રહેશે. તેજબહાદુર આ પહેલા પણ ઉમેદવારી કરી ચુક્યા છે. જોકે, તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ટિકિટ માટે તેઓએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. સુત્રોના કહેવા મુજબ તેજબહાદુરની ઉમેદવારી માન્ય રહ્યા બાદ બીજી મેના દિવસે નામ પરત લેવાના છેલ્લા દિવસે શાલિની ઉમેદવારી પાછી ખેંચી લેશે.