ખુલ્લામાં શૌચ કરી રહેલા એક ખેડૂતને અબોલ જીવએ પાઠ ભણાવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં બની છે. અહીં સવારે ૪ વાગ્યાના સુમારે નિરંજન સહીશ નામનો ખેડૂત પોતાના ગામથી બહાર શૌચ ક્રિયા માટે પહોંચ્યો હતો. આ સમયે ત્યાંથી પસાર થતા હાથીએ તેને સુંઢમાં ઉઠાવી અને ૫૦ મીટર દૂર ઘા કરી દીધો હતો. આ ઘટના બાદ ખેડૂતને સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
નિરંજનએ આપેલા નિવેદન અનુસાર તેણે હાથી નજીક આવતો હોવાનું અનુભવ્યું પરંતુ તે કંઈ સમજે તે પહેલા જ હાથીએ તેને સુંઢમાં ઉપાડી લીધો અને ૫૦ મીટર દૂર ઘા કરી દીધો. પટકાયા બાદ નિરંજન ખેતરમાં જ પડ્યા રહ્યા અને હાથી જંગલમાં જતો રહ્યો. નિરંજનએ વધુમાં જણાવ્યું હતું કે હાથની સુંઢમાં તેને લાગ્યું કે તેનો અંત સમય આવી ગયો છે. પરંતુ જ્યારે હાથી જંગલમાં જતો રહ્યો તો રાહતનો શ્વાસ લીધો.
વનવિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર આ વિસ્તારમાં અનેકવાર હાથી ફરતા જોવા મળે છે. અધિકારીઓ ગ્રામજનોને જંગલ તરફ જવાની પણ મનાઈ કરે છે. આ ઉપરાંત તેઓ લોકોને ઘરમાં બનેલા શૌચાલયનો જ ઉપયોગ કરવાની સલાહ પણ આપે છે. તેમ છતા કેટલાક લોકો જંગલમાં જતા હોય છે અને તેના કારણે આવી ઘટનાઓ બને છે.