શહેરના સીજી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડ કોમ્પલેક્ષના ત્રીજા માળેથી આંગડિયા પેઢીના એક કર્મચારીએ પડતું મૂકી આત્મહત્યા કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સીજી રોડના વેપારીઓ અને કર્મચારીઓમાં આ બનાવને લઇ શોકની લાગણી પ્રસરી ગઇ હતી. નવરંગપુરા પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં વિશ્વકર્મા મંદિર સામે આવેલા સિરિલ લાઇફ સ્ટાઇલ એપાર્ટમેન્ટ ખાતે રહેતા પ્રવીણભાઇ લાલજીભાઇ ઠક્કર સીજી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડ કોમ્પલેક્ષમાં આવેલી આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા. ગઇકાલે મોડી સાંજે કોમ્પલેક્ષમાં ધડામ..કરીને જોરદાર અવાજ આવતાં સ્થાનિક દુકાનદારો અને સ્ટાફ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને જોયું તો, પ્રવીણભાઇ લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયેલા હતા.
કોમ્પલેક્ષની જ આંગડિયા પેઢીના કર્મચારી પ્રવીણભાઇએ ત્રીજા માળેથી પડતું મૂકયું હોવાના સમાચારને પગલે સ્થાનિક વેપારીઓ અને કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ નવરંગપુરા પોલીસ અને સ્ટાફનો કાફલો આવી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે, આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આંગડિયા પેઢીના માલિક સાથે બોલાચાલી અને વિવાદની ચર્ચાએ પણ જોર પકડયું હોઇ પોલીસે તે દિશામાં તપાસ જારી રાખી છે.
આગળની પોસ્ટ