અમદાવાદ શહેરમાં ઝીકા વાઈરસના ત્રણ કેસ મામલે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અહેવાલ આપવામાં આવ્યા બાદ બચાવની ભૂમિકામાં આવી ગયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર માટે સૌથી શરમજનક બાબત તો એ છે કે ૬૫૫૧ કરોડનું જંગી બજેટ છતાં વિવિધ રોગ અંગેના વાયરોલોજીકલ ટેસ્ટ માટે કોઈ લેબોરેટરીની પણ વયવસ્થા નથી. પુણે સ્થિત લેબોરેટરથી બે કે ત્રણ માસ બાદ રિપોર્ટ આવ્યા બાદ આખોય મામલો ભુલાઈ ગયો હોય છે. આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરની એક મહિલાને પ્રસુતા અવસ્થા દરમિયાન તાવના ચિન્હો જણાતા તેના લોહીનું સેમ્પલ લેવામાં આવ્યું હતુ.૧૪ નવેંબર-૨૦૧૬ના દિવસે લેવામાં આવેલા આ સેમ્પલ બાદ પણ કોઈ સ્પષ્ટ સંકેત ન મળવાથી આ સેમ્પલને બી.જે.મેડીકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવ્યું હતુ. બી.જે.મેડીકલ કોલેજ સત્તાવાળાઓ તરફથી આ સેમ્પલને પુણે ખાતે આવેલી નેશનલ વાયરોલોજી લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યું હતુ. જ્યાંથી જાન્યુઆરી-૧૭માં આ સગર્ભા મહિલાના લોહીના સેમ્પલમાં ઝીકા વાયરસના ચિન્હો જણાયા હતા.બાદમાં માર્ચ માસમાં આ બાબતનો ખુલાસો સંસદમાં થવા પામ્યો હતો . અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહ અને મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે રવિવારના રોજ અમદાવાદ શહેરને મચ્છરમુકત કરવાના ઈરાદાથી ૧ લી જુનથી ઝૂંબેશને વધુ સઘન બનાવવાની મોટી-મોટી વાતો કરી છે.છતાં કડવી વાસ્તવિકતા એ છે કે અમદાવાદ શહેર માટે ગત ફેબ્રૂઆરી-૧૭માં પસાર કરવામાં આવેલા રૂપિયા ૬૫૫૧ કરોડના જંગી રકમના બજેટ છતાં પણ અમદાવાદમાં મેલેરીયા,ઝેરી મેલેરીયાથી લઈને ડેન્ગ્યુ,ચીકનગુનીયા,બર્ડફલુ,કોંગો ફીવર અથવા ઝીકા વાયરસના ટેસ્ટ માટે કોઈ વાયરોલોજીકલ લેબોરેટરીની વયવસ્થા જ નથી.બીજી તરફ મ્યુનિ.ને જે સેમ્પલ શંકાસ્પદ લાગે તે બી.જે.મેડીકલ કોલેજ અને બી.જે.મેડીકલ કોલેજને જે શંકાસ્પદ લાગે તે પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે.પુણેથી અંતિમ રિપોર્ટ આવતા અંદાજે ત્રણ માસ જેટલો સમય પસાર થઈ જાય છે.ત્યાં સુધીમાં લોકો પણ આખોય મામલો ભુલી ગયા હોય છે.આમ સસ્તી પ્રસિધ્ધિ માટે ફરતા રહેતા મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહીતના હોદ્દેદારોને ૧૭ વર્ષથી પોતે સત્તામાં હોવા છતાં શા માટે વાયરોલોજીકલ ટેસ્ટ માટેની લેબોરેટરી શરૂ કરવા કાર્યવાહી કરવાનો વિચાર નથી આવ્યો.એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
પાછલી પોસ્ટ