પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓના સફાયા માટે ભારતીય સેના કાશ્મીર ખીણમાં ખાસ ઓપરેશનો પાર પાડી રહી છે. ગુરૂવારે કાશ્મીરમાં ૨ મોટા ઓપરેશન કરીને ૫ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા એજન્સીઓ પ્રમાણે, આ આતંકવાદીઓ હંદવાડા અને શોપિયામાં ઠાર મારવામાં આવ્યા હતા. સુરક્ષા બળોએ આ વર્ષે ઓપરેશન ઓલઆઉટમાં ૬૦ આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મેળવી છે. આ ૬૦ આતંકવાદીઓ પૈકી ૨૨ જૈશ-એ-મોહમ્મદના હોવાનો દાવો ભારતીય સેનાએ કર્યો હતો. આ ઉપરાંત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ૧૫ અને લશ્કર-એ-તૈયબાના ૧૪ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. આ વર્ષે માર્ચ સુધીમાં ભારતીય સેનાએ ૬૦ આતંકવાદીઓને ગોળીએ દીધાં છે. પાછલા વર્ષે આ જ અવધિમાં ૪૪ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ પહેલા બાંદીપોરા અને શોપિયામાં ૨૩ માર્ચે પણ સુરક્ષા બળોએ ૬ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પાછલા વર્ષે ભારતીય સેનાએ ૨૫૦થી વધુ આતંકવાદીઓને અલગ અલગ અથડામણોમાં ઠાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલામાં ભારતીય સેનાના ૪૦ જવાનો શહીદ થયા હતા અને એ સમયથી જ ભારતીય સેનાએ પોતાના ઓપરેશનોની ગતિ વધારી દીધી હતી. પુલવામા હુમલા બાદ જ ભારતીય સેના ૩૦ થી વધારે આતંકવાદીઓને ઠોકી ચૂકી છે.