કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મંગળવારે આશંકા વ્યક્ત કરતા કહ્યું કે, મને લાગે છે કે ભાજપ શાંતિ નહીં પણ યુદ્ધ કરાવવા માગે છે. ચિદમ્બરમે ભાજપ સરકાર પર પોતાના ચૂંટણી ઢંઢેરામાં કથિત રાષ્ટ્ર સુરક્ષા પર આકરું વલણ અપનાવવા અંગે પોતાની નિષ્ફળતાઓને ઢાંકવાના પ્રયત્નો કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ચિદમ્બરમં કલમ ૩૭૦ અને ૩૫છ વિશે ભાજપ સરકારના વલણ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ બંધારણીય જોગવાઈઓને નાબૂદ કરવાનો વિચાર પણ જમ્મુ-કાશ્મીરમાં વિનાશનું બીજ રોપવા સમાન છે.
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં નોટબંધીની વાતનો ઉલ્લેખ જ નથી. હવે તેમણે બે કરોડ નોકરીઓ આપવાના વાયદાઓ કરીને પોતાની નિષ્ફળાઓને છૂપાવવાની કોશિશ કરી.
ચિદમ્બરમે કહ્યું કે, કોંગ્રેસના દસ વર્ષના શાસન દરમિયાન ભારત સંપૂર્ણ રીતે સુરક્ષિત હતું જ્યાં ભારત-પાકિસ્તાન અથવા તો ચીન વચ્ચે યુદ્ધનો કોઈ ભય રહેતો ન હતો. ત્યારે એવો કોઈ ભય નહતો રહેતો કે, કોઈ પણ દિવસે, કોઈ પણ સમયે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ જશે. તેથી ફક્ત ભાજપ જ ભારત દેશને સુરક્ષિત રાખી શકે છે તે વાત એકદમ બકવાસ અને પાયાવિહોણી છે.
તેમણે કહ્યું કે, ખરેખર તો આ બધા ભાજપ દ્વારા વધારી-ચઢાવીને કરવામાં આવેલા વાયદાઓ છે જેનાથી સરહદ પર તનાવ વધી શકે છે. સરહદી વિસ્તારમાં રહેતા લોકો એ ડર હેઠળ જીવી રહ્યા છે કે કોઈ પણ સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે. મને શંકા છે કે ભાજપ સરકાર યુદ્ધ કરાવવા માંગે છે. તેમના વર્તન પરથી જરા પણ નથી લાગતું કે તેઓ શાંતિ ઈચ્છતા હોય.