કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપના નેતાઓની દેશભક્તિ પર સવાલ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપ દેશભક્તિના નામે ભેદભાવ કરે છે તેમના માટે દેશભક્તિની વ્યાખ્યા અલગ છે. જો ભાજપના નેતા સાચા દેશભક્ત હોય તો તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સહિત દેશના શહીદોનું સમ્માન કરવું જોઇએ. તેમણે ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે, જો તેઓ શહીદ થનારાને દેશભક્ત માને છે તો પછી તેમણે શહીદ થયેલા તમામને દેશભક્ત માનવા જોઇએ પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ, કે પછી તેમના રાજકીય વિરોધીના પિતા. તેઓ પણ શહીદ છે. તેઓ પસંદગી નથી કરી શકતા કે કયા શહીદનું સન્માન કરવું. જો તેઓ સાચા દેશભક્ત છે તો પછી તે રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધી સહિત તમામ શહીદોનું સમ્માન કેમ નથી કરતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પ્રત્યેક ચૂંટણીમાં દેશભક્તિનો મુદ્દો ઉઠાવે છે, પરંતુ વિકાસ પર કોઇ વાત નથી કરતા. ભાજપે લોકોને લાઇનમાં ઉભા રાખીને પોતાના નાણાં બેંકમાં જમા કરાવવા કહ્યું અને આ કાર્ય કરનારાને તેમણે સાચી દેશભક્તિ ગણાવી. તેઓ કહેતા હતા કે કાળા નાણાં પરત આવશે. શું કાળું નાણું પરત આવ્યું? સાચી દેશભક્તિ લોકશાહીમાં વિશ્વાસ અને જવાબદારીથી તેમને મત આપવો છે જે તમારા માટે કામ કરે છે. જે પોતાના વચન પૂરા કરે છે.