રાજકારણમાં સામાન્ય રીતે સાંસદ કે ધારાસભ્ય બન્યા પછી સંપત્તિમાં ઉછાળો જોવા મળતો હોય છે. ભાજપના સાંસદ પૂનમ મહાજનનો કિસ્સો જરા ઉલટો થઇ ગયો છે. મુંબઈથી ચૂંટણી લડી રહેલ પૂનમ મહાજનની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. પૂનમ મહાજનને ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ટિકિટ આપી છે. તેઓએ ગઈકાલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.પૂનમ મહાજને ઉમેદવારી પત્રમાં પોતાની સંપત્તિની વિગતો પણ દર્શાવી છે જે બેહદ ચોંકવનાર છે. પૂનમ મહાજનનાં એફિડેવિટ મુજબ તેમની સંપત્તિ છેલ્લાં ૫ વર્ષમાં ૯૮% ઘટી ગઈ છે. વર્ષ ૨૦૧૪માં દાખલ કરવામાં આવેલ એફિડેવિટ મુજબ પૂનમ અને તેમનાં પતિ વી.આર.રાવ પાસે સંયુક્તરૂપે ૧૦૮ કરોડ રૂપિયાની સંપત્તિ હતી.
ગઈકાલે દાખલ કરવામાં આવેલ એફિડેવિટ મુજબ તેમના અને તેમનાં પતિ પાસે હવે ફક્ત ૨.૨૧ કરોડ રૂપિયાની કેશ અને ગોલ્ડ છે. તેમનાં પુત્ર આદ્ય પાસે ૧.૪ લાખ રૂપિયા છે જ્યારે તેમની પુત્રી પાસે કોઈ સંપત્તિ નથી.તેમની એફિડેવિટ મુજબ પૂનમ મહાજન પાસે કોઈ ખેતીલાયક – બિન ખેતીલાયક જમીન નથી. આ ઉપરાંત તેમની પાસે પોતાની કોમર્શિયલ ઇમારત કે મકાન પણ નથી. પોતાની સંપત્તિમાં ઘટાડા પાછળનું કારણ જણાવતાં પૂનમ મહાજને કહ્યું હતું કે ગયા વર્ષે તેમણે ૧૦૮ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી ત્યારે તેમો મોટો હિસ્સો ઋણનો હતો.
વર્ષ ૨૦૧૪માં પૂનમ મહાજન પર ૪૧.૪ કરોડનું દેવું હતું.વધુમાં પૂનમ મહાજને કહ્યું હતું કે મારા પતિનો ઓટોમોબાઇલ ડીલરશીપનો બિઝ્નેસ હતો જે બંધ થઇ ગયો. અમારી પર કરોડો રૂપિયાનું દેવું હતું જેને ચૂકવવા અમારે તમામ સંપત્તિ વેચી દેવી પડી હતી. હવે જે વધ્યું છે તે મારા જીવન વીમાનું પ્રીમિયમ છે.