ગુજરાત વન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ નર્મદા જિલ્લામાં કરજણ વહિવટી સંકુલ નજીક ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે આજથી તા. ૩ જી જુન – ૨૦૧૭ સુધી ચાલનારા કલાઇમેટ ચેન્જ અંગેની લોકજાગૃત્તિ કેળવવા માટે યોજાયેલા ત્રિદિવસીય પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું હતું. આ પ્રસંગે કલાઇમેટ ચેન્જ વિભાગના સંયુક્ત સચિવશ્રી મુકેશભાઇ શાહ, પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા, નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા વગેરે પણ તેમાં જોડાયા હતા.
રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ જણાવ્યું હતું કે, મનુષ્યના જીવનમાં અને પ્રાણી જગત સહિત વિશ્વમાં ઉર્જાનું ખુબ જ મહત્વ રહેલું છે. ઉર્જા શક્તિ વિના કોઇ પણ બાબત શક્ય નથી અને ઉર્જામ સૌથી વધુ વિજળીનો વપરાશ થાય છે. વિજળી પણ આપણા જીવનમાં અનેક પ્રકારે સંકળાયેલી છે. પેટ્રોલીયમ પેદાશોનો જથ્થાનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે, ત્યારે હાલમાં વૈજ્ઞાનિક સંશોધનો મુજબ સોલાર ઉર્જા, બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોના વિકાસ માટે ગુજરાતમાં શરૂ કરાયેલો ક્લાઇમેટ ચેન્જ વિભાગ બિન પરંપરાગત સોલાર રૂફ ટોપ દ્વારા મોટા પ્રમાણમાં મેગા વોટ વિજ ઉત્પન્ન થાય તેવા પ્રયાસો સાથે પ્રોત્સાહન પુરૂ પાડવાની સરકારની અનેકવિધ યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓનો વધુ પ્રચાર-પ્રસાર થાય, ખુલ્લા ખેતરો, મકાનના ધાબા પર આવી પેનલો લગાવી શક્ય તેટલું ઉર્જા ઉત્પાદન થાય, ખેતી ક્ષેત્રે બાયોગેસ માટેની વિજળીની તકો ઉપલબ્ધ છે તેને વધુ પ્રચલિત કરી લોકોમાં ખુબ ઉપયોગી બને તેવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો વિકસાવવામાં પ્રજાકીય સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ વધુમાં જણાવ્યું હતું કે, બિન પરંપરાગત ઉર્જાની જાગૃત્તિ અને વિજ ઉત્પાદન અંગેની જરૂરિયાત-જાણકારી-યોજનાના લાભોથી લઇને બિન પરંપરાગત ઉર્જાના મોટા સ્ત્રોત સોલાર વિજળી ઉત્પન કરવા માટે આમપ્રજા પોતે સહભાગી બને અને તેના માટે સરકારી યોજનાનો કેવી રીતે લાભ લઇ શકાય તેનો આબેહુબ ચિતાર રજુ કરતું આજનું આ પ્રદર્શન લોકાભિમુખ અને પ્રજાલક્ષી માહિતી આપતું પ્રદર્શન ખુબ જ ઉપયોગી બની રહેશે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી.
કલાઇમેટ ચેન્જ વિભાગના અધિક સચિવશ્રી મુકેશભાઇ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજામાં કલાઇમેટ ચેન્જ જાગૃત્તિ લાવવાના પ્રયાસના ભાગરૂપે રાજ્યના ૩૩ જિલ્લામાં જાગૃત્તિ પ્રદર્શનની શરૂઆત કરાઇ છે. આ પ્રદર્શનમાં વિવિધ પેનલ દ્વારા કલાઇમેટ ચેન્જ વિભાગની યોજનાઓ, સ્ટેટ એક્શન પ્લાન, સોલાર રૂફ ટોપ યોજના, કલાઇમેટથી બચવા માટેના ઉપાયો બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ વગેરે અંગેની આંકડાકીય વિગતો સાથેની જાણકારી તસ્વીરો સહિત રજુ કરી છે, જે આમપ્રજા માટે ખુબ જ ઉપયોગી બની રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, કલાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિગ્ના આજના વૈશ્વિક પડકારને ઝીલવા માટે વિશ્વના અનેક દેશો ચિંતિત અને પ્રયત્નશીલ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદ્રષ્ટિથી આ પડકારોને ઝીલવા માટે સમગ્ર ભારતમાં સૌ પ્રથમ એક માત્ર ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ કાર્યરત કરાયો છે. કલાઇમેટ ચેન્જથી બચવાના ઉપાયો, બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોમાસ ઉર્જા, સોલીડ વેસ્ટ ટુ એનર્જીની અનેકવિધ યોજનાઓ-નિતિઓ સરકારશ્રી દ્વારા બહાર પડાઇ છે. આજે સમગ્ર ભારતમાં રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત અંદાજે ૬૫૦૦ મેગાવોટની એનર્જી ઉત્પન્ન કરીને દેશમાં એક મોડલ સ્ટેટ તરીકેની નામના મેળવી છે. વર્ષ ૨૦૧૬-૧૭ ના વર્ષમાં ૧૨૧૭ મેગાવોટ અને પવન ઉર્જામાં ૫૩૧૮ ઉર્જા ઉત્પન્ન કરેલ છે. રાજ્યના ત્રણ શહેરોને સોલાર સીટી બનાવવામાં આવી છે. રાજ્યમાં ચારણકા (પાટણ) ખાતે ૫૦૦ મેગાવોટનું સોલાર પાર્ક પણ કાર્યરત છે.
આ પ્રદર્શન તા. ૧ લી જૂનથી તા. ૩ જી જૂન સુધી સવારના ૧૦=૦૦ થી સાંજના ૭=૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે વિના મૂલ્યે ખુલ્લુ મુકવામાં આવ્યું છે, જેનો રાજપીપલાના નગરજનો, જિલ્લાવાસીઓ, વિવિધ સંસ્થાઓને મોટી સંખ્યામાં લાભ લેવા રાજ્યના ક્લાઇમેટ ચેન્જ વિભાગ અને નર્મદા જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવવાની સાથોસાથ જાહેર અનુરોધ કરાયો છે.