જૈશ એ મોહમ્મદના ચીફ અને પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવા મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે તો તડાફડી ચાલી જ રહી છે પરંતુ હવે ચીન અને અમેરિકા પણ આમને સામને આવી ગયા છે.
અમેરિકાએ બુધવારે મસુદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવા વિરુદ્ધના પગલાંને સાર્થક બનાવવા ’તમામ ઉપલબ્ધ રસ્તાઓ’નો ઉપયોગ કરવાની કસમ ખાધી ત્યાં ચીને અમેરિકાને ચેતવણી આપી દીધી કે તેના આ વલણથી દક્ષિણ એશિયામાં પહેલેથી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ વધુ જટિલ બની શકે છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે અમે બ્રિટન અને ફ્રાંસીસી સમર્થન સાથે એક યુએનએસસી પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. મસૂદને ૧૨૬૭ અલ કાયદા પ્રતિબંધ કમિટી હેઠળ સૂચિબદ્ધ કરવા માટેના એક ફ્રાંસીસી પ્રસ્તાવ પર ચીને વીટો વાપર્યા બાદ અમેરિકાએ તેને બ્લેક લિસ્ટ કરવા માટે તથા તેના પ્રવાસો પર પ્રતિબંધ લગાવવા માટે ૨૭ માર્ચના રોજ ૧૫ સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ડ્રાફ્ટ રજુ કર્યો હતો.
આ બાજુ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે તીન આ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવા માટે રચનાત્મક અને તાર્કિક વલણ અપનાવી રહ્યું છે. તેમણે વિદેશ વિભાગના પ્રવક્તાના એક નિવેદન અંગે સવાલ પૂછાતા આ જવાબ આપ્યો હતો. હકીકતમાં પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકા અઝહરને બ્લેક લિસ્ટ કરવા માટે તમામ ઉપબલ્ધ સંસાધનોનો ઉપયોગ કરશે. અમેરિકાએ મંગળવારે કથિત રીતે કહ્યું હતું કે તે જૈશના સંસ્થાપક અઝહરને જવાબદાર ઠેરવવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરશે.
આ બાજુ ગેંગે સોમવારે દાવો કર્યો હતો કે પેચીદા મુદ્દાના ઉકેલ માટે સકારાત્મક પ્રગતિ થઈ છે અને તેમણે અમેરિકા પર તેમની કોશિશોને નિષ્ફળ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાની કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્ર નિયમો અને પરંપરા મુજબ નથી તથા આ એક ખોટું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે અમને આશા છે કે આ મુદ્દાનો યોગ્ય ઉકેલ આવી જશે. ગેંગે પુલવામા આતંકી હુમલા અને જમ્મુ કાશ્મીરના હાલાતમાં જૈશની સંડોવણી અંગે કોઈ પુરાવા નહીં મળ્યા હોવાના સવાલ પર કહ્યું કે કાશ્મીરમાં થયેલી હાલની ઘટના પર ચીને પોતાનું વલણ રજુ કરી દીધુ છે. અમને આશા છે કે ભારત અને પાકિસ્તાન સંવાદ કરશે અને વાતચીત તથા વાર્તા દ્વારા પેન્ડિંગ મુદ્દાઓનો ઉકેલ લાવશે.ઉલ્લેખનીય છે કે ૧૪મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતાં. ભારતે ૨૭ ફેબ્રુઆરીના રોજ પુલવામાં હુમલામાં જૈશની સંડોવણીના દસ્તાવેજ સોંપ્યા હતાં. પાકિસ્તાને જૈશ અને પુલવામા આતંકી હુમલા વચ્ચે કોઈ પણ કનેક્શન હોવાની વાતનો ઈન્કાર કર્યો છે અને ભારત પાસે વધુ પુરાવા પણ માંગ્યા છે.