તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કંડલા પોર્ટની મુલાકાત દરમિયાન કંડલા પોર્ટને પંડિત દીનદયાળ ઉપાધ્યાય કંડલા પોર્ટ ટ્રસ્ટ નામ આપવાની કરેલી જાહેરાત બાદ કચ્છભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. કચ્છના પૂર્વમહારાવ પ્રાગમલજી ત્રીજાએ કંડલા પોર્ટનું નામ કંડલા પોર્ટ જ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.આ ઉપરાંત કચ્છની સિંધુ સેના અને રાજપૂતાના ડોટ કોમ તથા રાજપૂતાના સ્પોર્ટ કલબ દ્વારા કંડલા પોર્ટ માટે અલગ અલગ નામનો પ્રસ્તાવ વડાપ્રધાન મોદીને મોકલવામાં આવ્યો હતો. સિંધુ સેના દ્વારા કંડલા પોર્ટ માટે ભાઈ પ્રતાપના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. તો રાજપૂત સમાજે મહારાવ ખેંગારજી ત્રીજાના નામનું સૂચન કર્યું હતું.સિંધુ સેનાના જણાવ્યા મુજબ ગાંધીધામ આદિપુર સિંધી સમાજની બહુમતી ધરાવતા શહેરો છે. અને ભાઈ પ્રતાપનું આદિપુર-ગાંધીધામ તથા કંડલા પોર્ટના વિકાસ માટે મોટુ યોગદાન છે. જેને લઈને મામલતદારને આવેદન આપી રજૂઆત પણ કરવામાં આવી હતી.
તો બીજી બાજુ, રાજપુત સમાજ દ્વારા કંડલા પોર્ટના નવા નામે કચ્છના મહારાવનું નામ સૂચવવામાં આવ્યું હતું. અને વડાપ્રધાનને રજુઆત મોકલી હતી. ભારતના ભાગલા સમયે કચ્છના મહારાજે સરકારને ૧૫,૦૦૦ એકર જમીન દાનમાં આપી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમના નામનું સૂચન કરાયું હતું.ઉલ્લેખનીય છે કે, રાજકીય પાર્ટીઓ પોતાના કાર્યકાળ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા જાહેર સ્થળો અને બાંધકામોને તેમની પાર્ટીના નેતાઓના નામ સાથે સાંકળતા હોય છે. જેના બદલે મતના રાજકારણથી દૂર રહી નેતાઓ માત્ર જનસેવાનું કામ કરે તે વધુ યોગ્ય છે.
કંડલા પોર્ટના નામ મુદ્દે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા પોતાના વિચારોની આપ-લે કરવા માટે પત્રકારો સાથે વાતચીત કરશે. સાંજે ૬ વાગ્યે મહારાવ રણજીત વિલા પેલેસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.