કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ રવિવારે એજન્ડા ઇન્ડિયા કાર્યક્રમમાં સામેલ થયા, અહીં તેઓએ પોતાની બોલવાની છટાથી સૌકોઇને મંત્રમૂક્ત કરી દીધા હતા. તેઓએ મોદી સરકાર અને કેન્દ્રની નીતિ પર અનેક સવાલો ઉઠાવ્યા.
રાષ્ટ્રીય હિત તથા રાષ્ટ્રીય સુરક્ષાના સવાલ પર કપિલ સિબ્બલે કહ્યું કે રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય સુરક્ષા બંનેમાં ઘણો તફાવત છે. તેઓએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય નીતિ હોવી જોઇએ, જેના પર રાજનીતિ ન હોવી જોઇએ. રક્ષા બજેટમાં કોઇપણ વધારો થયો નથી. જે વધારો થયો છે તેમાંથી ૮૫ ટકા સેલેરીમાં જતો રહેશે. તો જો અન્ય જગ્યાએ જોવામાં આવે તો હિન્દુસ્તાનની તમામ સંસ્થાઓ જેવી કે સીબીઆઇ, નીતિ આયોગ પર ભાજપએ પોતાનો કબજો કરી લીધો છે.
આ દરમિયાન પીએમ મોદી પર તંજ કસતા કપિલે સવાલ કર્યો કે ગુરદાસપુર હુમલા સમયે ચોકીદાર સૂઇ રહ્યાં હતા ? માત્ર સર્જિકલ સ્ટ્રાઇક પર જ વાત કેમ? પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ દેશમાં કોઇ શિક્ષા, પ્રદુષણ અને સ્વાસ્થ્ય પર વાત કરતું નથી.તેઓએ કહ્યું કે હવે કોઇ બાળક મોટું થાય તો પહેલા તેના સ્વાસ્થ્યને મહત્વ આપવામાં આવે, ત્યારબાદ રોજગારી મળવી જોઇએ. પરંતુ અહીં કોઇ રોજગારી પર વાત કરતું નથી, માત્ર બાલાકોટ અને હુમલાની વાત થાય છે. સર્જિકલ સ્ટ્રાઇક જ કરવી હતી તો સૌથી પહેલા ગરીબી અને બેરોજગારી પર સર્જિકલ સ્ટ્રાઇક કરો.