જૈશ-એ -મોહમ્મદના વડા આતંકી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં વિઘ્ન નાખી રહેલા ચીને ૨૦૦૮માં મુંબઇ હુમલાને સૌથી ભયાનક હુમલા પૈકી પૈકીનો એક ગણાવ્યો છે.
ચીને સ્વીકાર કર્યો છે કે, મુંબઇમાં કરાયેલો હુમલો વિશ્વના સૌથી કુખ્યાત હુમલો હતો.ચીનના શિયાજિયાંગ પ્રાંતમાં ઉગ્રવાદીઓ વિરુદ્ધ કરાયેલી કાર્યવાહી અંગે બહાર પાડેલા શ્વેત પત્રમાં ચીને જણાવ્યું હતું કે, તાજેતરના કેટલાક વર્ષથી વૈશ્વિક સ્તર પર આતંકવાદ અને ઉગ્રવાદના ફેલાવાથી માનવતા પર તેની માઠી અસર પડી છે.
ચીન દ્વારા જાહેર કરવામાં આ પત્રનું શિર્ષક છે ’આતંકવાદ અને ઉગ્રવાદ વિરુદ્ધ લડાઇ તથા શિયાજિયાંગમાં માનવ અધિકારોનું સંરક્ષણ’. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વિશ્વભરમાં આતંકવાદ અને ઉગ્રવાદને કારણે મોટું જોખમ ઉભું થયું છે અને તેનાથી લોકોના જીવન અને સંપત્તિને નુકસાન પહોંચ્યું છે.
૨૦૦૮ની ૨૬મી નવેમ્બરે લશ્કર-એ-તૈયબાના ૧૦ સશસ્ત્ર આતંકવાદીઓએ મુંબઇમાં હુમલો કર્યો હતો.
આ હુમલામાં ૧૬૬ લોકોના મોત થયા હતા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
હુમલામાં નવ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા હતા પરંતુ એક આતંકવાદી અજમલ કસાબની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ફાંસી આપવામાં આવી હતી.