લોકસભા ચૂંટણી ૨૦૧૯ની તારીખો જાહેર થયા બાદ સત્તા પક્ષ અને વિપક્ષે પણ તેનું સ્વાગત કર્યું છે. લોકતંત્રના આ મહાપર્વ સમાન ચૂંટણી માટે મતદાન સાત તબક્કામાં યોજનાર છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ચૂંટણી પંચે જે તારીખો જાહેર કરી છે તેનું અમે સ્વાગત કરીએ છીએ. વિપક્ષી દળો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ચોકીદાર સિંહ છે, ચોર નહીં… પરંતુ ચોરી જેમના ડીએનએમાં છે, તેમને દરેક જગ્યાએ ચોરી જ દેખાય છે.
સીએમ યોગીએ કહ્યું કે ભાજપ પીએમ મોદીના નેતૃત્વમાં આ વખતની ચૂંટણીમાં પ્રચંડ બહુમતથી એકવાર ફરીથી સરકાર બનાવશે. વિકાસ સુશાસનનો જે પાયો પીએમ મોદીએ રાખ્યો છે તેને અમે આગળ વધારીશું. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૪ની જેમ આ વખતે પણ ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પીએમ મોદીથી સારો કોઈ વિકલ્પ નથી.
ગઠબંધન પર તેમણે કહ્યું કે ગઠબંધન કોઈ ચેલેન્જ નથી. વિરોધીઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ગુંડાગીરી, અરાજકતા, લૂંટ, અપરાધીઓને સંરક્ષણ આપવું એ વિરોધી પાર્ટીઓની નીતિ રહી છે. સીએમ યોગીએ કહ્યું કે વિરોધીઓની સરકારોએ દેશ અને પ્રદેશને બરબાદ કર્યાં છે. પ્રદેશની જનતા તેમના ભ્રષ્ટાચાર અને તબાહીને જાણે છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપ વિકાસ, સુશાસન અને રાષ્ટ્રવાદના મુદ્દે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે રામ મંદિર અમારી આસ્થાનો વિષય છે. તેનું સન્માન થવું જોઈએ. પ્રદેશ સરકાર આ આસ્થાના સન્માન માટે તૈયાર છે.