કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે મામલે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ કોંગ્રેસ આ મામલે ન્યાયીક લડત આપશે.અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે. અમારા સીનિયર નેતા ભગાભાઇ બારડ સામેના કેસમાં સ્ટે મળ્યો હોવા છતાં અધ્યક્ષ દ્વારા ઉતાવણમાં અથવા કોઇપણ જાતની કાયદાકીય જોગવાઇઓને ધ્યાનમાં લીધા વિના નિર્ણય લેવામાં આવ્યો છે તે ખૂબ જ ગંભીર બાબત છે.કોઇપણ પ્રક્રિયા કે કાર્યવાહી સિવાય તેમને ધારાસભ્ય પદેથી બરતરફ કરવાનો નિર્ણય કરાયો છે. ભાજપ કિન્નાખોરી રાખી રાજકીય દબાણ ઉભું કરવા, ડરાવવા, ધમકાવવા માટે આ રીતે પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસનો એક એક કાર્યકર ભગાભાઇ સાથે છે.કોંગ્રેસે આ મુદ્દે કાયદાકીય લડત આપવાનું નક્કી કર્યું છે. અમે આ મુદ્દે આંદોલન સ્વરૂપે પણ લડત આપવાનું નક્કી કર્યું છે. સાથે જ અર્જુન મોઢવાડિયાએ આ સમગ્ર કેસના ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી.ઉલ્લેખનીય છે કે, ૨૪ વર્ષ જૂના ખનીજ ચોરીના કેસમાં તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય પર આરોપ સાબિત થતાં વિધાનસભાના અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા. જેને લઇને કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે કે, કોંગ્રેસ તેના ધારાસભ્યે કરેલી ખનીજ ચોરીનું સમર્થન કરી રહી છે.