રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન સ્થળોને વિકસાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં, શામળાજી મંદિરમાં યાત્રિકોની સમસ્યામાં કોઈ ઘટાડો નહીં.અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના વિકાસ માટે ૨૦ કરોડથી વધુ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. પરંતુ ૫ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં યાત્રિકોની સમસ્યા જેમની તેમ જ છે.યાત્રાધામ શામળાજીના વિકાસ માટે રાજ્ય સરકારે ૨૦ કરોડથી વધુના ખર્ચે કામ હાથ ધર્યુ હતું. પરંતુ આજે ૫ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયા છતાં મંદિરની ફરતે માત્ર કોટ બનાવી વિકાસ બતાવાઈ રહ્યો છે. તો બીજી તરફ વિકાસના નામે બેઘર અને બેરોજગાર બનેલા અનેક પરિવારોની હાલત દયનિય બની છે.એક માહિતી અનુસાર શામળાજીમાં વિકાસ માટે રાજ્ય સરકારે વર્ષ ૧૯૮૪થી ટાઉન પ્લાનિંગ યોજના અમલમાં મૂકી હતી. વર્ષોથી આ યોજનાનું અમલીકરણ ન કરી શકનાર તંત્ર વર્ષ ૨૦૧૧માં હરકતમાં આવી હતી.યોજનાના અમલીકરણ તેમજ વિકાસના નેજા હેઠળ યાત્રાધામ શામળાજી ખાતે આવી સ્થાનિક લોકોના ઘરો, દુકાનો તેમજ મંદિરની ધર્મશાળાઓ, ભોજનાલય અને શૌચાલયો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. તંત્રએ વિકાસના નામે કરેલી કાર્યવાહીમાં અનેક લોકો બેઘર અને બેરોજગાર બન્યા હતા જેઓની હાલત આજે પણ કફોડી છે.રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામના વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિકાસના કામોનું ખાતમુહર્ત કર્યું હતું. વિકાસના નામે વર્ષોથી ચાલતા કામને કારણે શામળાજી ખાતે દર્શને આવતા યાત્રાળુઓને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પાંચ વર્ષ બાદ પણ પાર્કિંગ, શૌચાલયો, પાણીની પરબ, ધર્મશાળા અને ભોજનાલય જેવી પ્રાથમિક સુવિધા નથી મળતી જેથી યાત્રાળુઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે.વિકાસની વાતો વચ્ચે ગોકળગાયની ગતિએ ચાલતા કામથી મંદિરની આજુબાજુ માત્ર કોટ જ બનાવવામાં આવ્યો છે. ત્યારે યાત્રાધામ શામળાજીનો સંપૂર્ણ વિકાસ કેટલા સમયમાં પૂર્ણ થશે અને યાત્રાળુઓને યોગ્ય સુવિધા કયારે મળશે તેની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે.